Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Peter Doherty’

નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પ્રારંભ મેડિસિનના ક્ષેત્રથી થયો છે. ફ્રાંસના બે અને જર્મનીના એક વિજ્ઞાનીને સંયુક્ત રીતે તે અપાશે. વિજેતા એક હોય તો તેને ૧૪ લાખ ૨૦ હજાર ડોલર મળે છે. બે કે વધુને સંયુક્તપણે અપાયું હોય તો સરખા ભાગ પડે છે. આ કિસ્સામાં જરા જુદી રીતે ભાગ પડવાના છે, કારણ કે બે ફ્રેન્ચ અને એક જર્મનને બે જુદીજુદી શોધો માટે પારિતોષિક અપાયું છે. અડધી રકમ જર્મનને તથા બાકીની અડધીમાંથી બે સરખે ભાગે ફ્રેન્ચોને મળશે. આગામી તા. ૧૩ સુધીમાં તમામ ક્ષેત્રોને અપાતાં પારિતોષિકો જાહેર થઈ જશે.

પારિતોષિક નાનું હોય કે મોટું તેને લઈને વિવાદો તો ખડા થતા જ રહે છે. નોબેલ પારિતોષિક કદાચ દુનિયાનું સૌથી મોટું અને સૌથી વધુ પ્રતિષ્ઠિત છે એટલે તેના વિવાદો પણ મોટા હોય છે અને તે વધુ ચર્ચામાં રહેતું હોય છે. તેની તરફેણમાં અને વિરુદ્ધમાં, અને ખાસ કરીને વધુ તો વિરુદ્ધમાં  સતત લખાતું રહે છે. નોબેલ પારિતોષિક આપવાનો એક હેતુ એ છે કે જે-તે ક્ષેત્રમાં આ પારિતોષિક વિજેતાઓ પોતાનું કાર્ય સારી રીતે આગળ ધપાવી શકે અને માત્ર નાણાંના અભાવે તેમનું કાર્ય અટકી ન પડે. પણ મોટે ભાગે તો એવું જ બનતું આવ્યું છે કે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી ઘણાબધા વિજેતાઓ ભાગ્યે જ કંઈ નોંઘપાત્ર પ્રદાન કરી શક્યા છે. તેને કારણે કેટલાક નોબેલ વિજેતાઓએ તો આ પારિતોષિકને કાંટાળો તાજ ગણ્યો છે. 

નોબેલ પારિતોષિક મેળવવું એ દરેક વિજ્ઞાનીનું સપનું હોય છે, પણ જે વિજ્ઞાનીઓને આ પારિતોષિક નાની ઉંમરે મળી જાય છે, તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિજ્ઞાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ પારિતોષિક મળી ગયું હતું. તેમને નોબેલ પારિતોષિક એનાયત થવાની જાહેરાત થતાં તેમનો પ્રતિભાવ નિરાશાજનક હતો, “હવે હું આખી જિંદગી શું કરીશ?”

કેટ્લાક સાહિત્યકારોએ અને અમુક સંજોગોમાં કેટલાક વિજ્ઞાનીઓએ નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કર્યાના દાખલા છે, પણ આવા બધા વિવાદો છતાં આ કાંટાળો તાજ પહેરવો બધાને ગમે છે. એવો પણ આક્ષેપ થતો રહે છે કે નોબેલ પારિતોષિક મેળવવા માટે થઈને વિજ્ઞાનીઓ અમુક પ્રકારનાં સંશોધનો જ હાથ ધરતાં હોય છે, તેને કારણે વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રો એવાં છે, જેને બહુ ઓછા લોકો હાથ અડાડે છે.

અપવાદોને બાદ કરતાં મોટે ભાગે તો નોબેલ પારિતોષિક પાકટ ઉંમરે અને ક્યારેક તો જિંદગીનાં બહુ ઓછાં વર્ષો બાકી રહ્યાં હોય ત્યારે મળતું હોય છે. સાહિત્ય ક્ષેત્રે તો મોટા ભાગે એવું જ બને છે. ૧૯૨૫માં ૬૯ વર્ષની વયે નોબેલ પારિતોષિક મેળવનાર જ્યોર્જ બર્નાર્ડ શોએ તો કહ્યું પણ હતું કે “નોબેલ પારિતોષિક મધદરિયેથી કાંઠે પહોંચી ગયેલાને અપાતા લાઇફ બેલ્ટ સમાન છે. ” એટલે તો વ્યંગમાં એવું કહેવાય છે કે જેમનો ધ્યેય નોબેલ પારિતોષિક જીતવાનો જ છે, એવા લોકોએ કમ સે કમ લાંબું તો જીવવું જ પડે.

૧૯૯૬માં ફિઝિયોલોજી એન્ડ મેડિસિન માટે નોબેલ પારિતોષિક વિજેતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની પીટર ડોહર્ટી (Peter Doherty)એ તો “નોબેલ પારિતોષિક જીતવાની કળા” કહી શકાય એવું પુસ્તક The Beginner’s Guide to Winning the Nobel Prize લખ્યું છે. આ પુસ્તક વધુ તો એક નોબેલ પારિતોષિક વિજેતાની પીડા વ્યક્ત કરે છે.

નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ છે અને હવે એક પછી એક પારિતોષિક જાહેર થશે એટલે તેના વિષે ઘણું વાંચવા-સાંભળવા મળવાનું. ખાસ કરીને દર વર્ષે સાહિત્ય અને શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક વધુ ચર્ચા જગાવતાં હોય છે, કારણ કે તેની સાથે એક યા બીજી રીતે વિશ્વ રાજકારણ સંકળાયેલું હોય છે.

Read Full Post »