ચંદ્રકાન્ત બક્ષીએ ભલે એમ કહ્યું હોય કે કવિતા રચવી એ દાઢી ઉગાડવા જેટલું સહેલું કામ છે, પણ બક્ષીએ તો આવાં ઘણાં રમૂજી વાક્યો આપ્યાં છે. જેમને કવિતા સહજ છે અને સાધ્ય છે, એમને કદાચ આ લાગુ પડતું હોઇ શકે, બાકી એક સારી કાવ્યકૃતિ કેટલી મથામણ પછી સર્જાતી હોય છે એ તો કોઇ કવિ જ કહી શકે. મેં કદી કવિતા રચી નથી, પ્રયાસ પણ નથી કર્યો. ટૂંકી વાર્તા જેટલી કદી સહજ રીતે મનમાં કદી ઊગી જ નથી, પણ વર્ષો પહેલાં હિંદી સામયિક “ધર્મયુગ”માં પ્રગટ થયેલી સુરેન્દ્ર ચતુર્વેદીની એક કવિતા “તલવાર” એટલી ગમી ગઈ હતી કે તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે “રંગતરંગ”ના ૧૯૭૯ના જુલાઇના અંકમાં પ્રગટ થયો હતો. આ કવિતા આમ તો હું વીસરી ગયો હતો, પણ એકાએક હાથમાં આવી જતાં મજા પડી ગઈ.
આ કવિતા સાથે સંકળાયેલી એક નાની કહાણી એટલી જ છે કે તે ૧૯૭૫માં કટોકટીના સમયે લખાઇ હતી અને “ધર્મયુગ”એ પ્રગટ કરતાં એ વખતની સેન્સરશિપે તેના પર ચોકડી મારી દીધી હતી. એ ગાળામાં આવી અસંખ્ય કૃતિઓ લોકો સુધી પહોંચવા દેવાઇ નહોતી. એવી ઘણી કૃતિઓ કટોકટી ઊઠી ગયા પછી જેતે સામયિકોએ ફરી પ્રગટ કરી હતી. “તલવાર” એ જ રીતે “ધર્મયુગ”માં પ્રગટ થઈ હતી.
વર્ષો પહેલાં લખાયેલી આ કવિતા આજના સમયે પણ કેટલી પ્રાસંગિક છે એ કવિતા ખુદ કહી આપે છે.
તલવાર
જ્યારે પણ ક્યાંક, ક્યારેક કોઇ નવી તલવાર બને છે,
અજાણ્યા ભયથી મારું મન કમકમી ઊઠે છે.
તલવાર, પછી ભલે તે કાગળની હોય,
લોખંડની હોય કે ચાંદીની હોય, કોઇ ને કોઇ રીતે
હંમેશાં કોઇક હત્યારાના હાથમાં ચાલી જાય છે.
અને કોઇ ને કોઇ બહાને
હંમેશાં કોઇક નિર્દોષની છાતીમાં ખોસી દેવાય છે.
તલવાર, પછી ભલે તે કાયદાની હોય કે બંધારણની,
તલવાર, પછી ભલે તે લોખંડની હોય કે ચાંદીની,
ક્યારેય કોઇ બદનિયત માણસે નથી બનાવી.
અને ઇતિહાસ સાક્ષી છે કે તલવાર કયારેય, ક્યાંય,
કોઇ નેકનિયત માણસે નથી વીંઝી.
તલવાર હંમેશાં નેકનિયત માણસો બનાવે છે,
પણ એને હંમેશાં બદનિયત માણસો વીંઝે છે.
જ્યારે પણ ક્યાંક, ક્યારેક કોઇ નવી તલવાર બને છે,
અજાણ્યા ભયથી મારું મન કમકમી ઊઠે છે.
– સુરેન્દ્ર ચતુર્વેદી