Feeds:
Posts
Comments

harun_arun

મૂળ ક્ચ્છના મુંબઈ સ્થિત ફિલ્મકાર વિનોદ ગણાત્રાએ વધુ એક બાળફિલ્મ “હારુન-અરુણ” (Harun-Arun) બનાવી છે અને તે પણ ગુજરાતીમાં. ફિલ્મનું નિર્માણ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયાએ કર્યું છે. જૂનમાં અમદાવાદમાં કહેવાતો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો તેમાં આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર રખાયો હતો, પણ એ વખતે તેની કોઇ નોંધ નહોતી લેવાઇ તેમાં કોઇ નવાઇ પામવા જેવું નહોતું, પણ તેથી “હારુન-અરુણ”નું મહત્ત્વ જરાય ઓછું થતું નથી. તાજેતરમાં જ શિકાગો ખાતે આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવ યોજાઇ ગયો. દુનિયાભરના દેશોમાંથી આવેલી બાળ ફિલ્મો વચ્ચે “હારુન-અરુણ” એવોર્ડ લઈ આવી છે, અને વિનોદ ગણાત્રાની અગાઉની ફિલ્મોને જે ઢગલામોઢે એવોર્ડ્ર્સ મળ્યા છે તે જોતાં એમ કહી શકાય કે આ તો હજી શરૂઆત જ છે.

“હારુન-અરુણ”નો જે કથાસાર ઉપલબ્ધ છે તે મુજબ ફિલ્મનો મુખ્ય સૂર એ છે કે નકશા પર ભલે સરહદો દોરાતી હોય અને તે ભાગલા પાડતી હોય, પણ લોકોનાં હૈયાંને તે જુદાં કરી શકતી નથી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે સરહદી વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો વિખૂટા પડી ગયા હતા. કચ્છના લખપતમાં જન્મેલો રશીદ સુલેમાનનો પરિવાર આવો જ કમનસીબ હતો. તેની પરિણીત દીકરી ક્ચ્છમાં રહી ગઇ હતી અને પાકિસ્તાનમાં રહી ગયો હતો. રશીદના પરિવારમાં હવે તેનો એકમાત્ર પૌત્ર હારુન રહ્યો છે. પોતાની આંખો કાયમ માટે મીંચાઇ જાય તે પહેલાં હારુનને લખપત પહોંચાડી દેવાની તેની ઇચ્છા છે. એક રાતે સરહદ પાર કરવાનું તે આયોજન પણ કરે છે, પણ સૈનિકોથી બચવાના પ્રયાસમાં રશીદ અને હારુન છૂટા પડી જાય છે.

રણમાં એકલો પડી ગયેલો હારુન હિંમત નથી હારતો. તે સરહદ પાર કરીને કચ્છ પહોંચી જાય છે. અહીં તે ત્રણ બાળકોને મળે છે. આ બાળકો હારુનને ચોરીછૂપીથી પોતાને ઘેર લઈ જાય છે. તેમની મા વાલબાઇ બહુ પ્રેમાળ છે, પણ મા વઢશે એ બીકે બાળકો હારુનને સંતાડી રાખે છે. અહીં હારુન અરુણ બની જાય છે. પણ એક દિવસ વાલબાઇથી છોકરાઓની રમત છાની રહેતી નથી, પણ તે ઘડીથી અરુણ પણ તેનાં ત્રણ સંતાનો ભેગો ચોથો દીકરો બની જાય છે. પછી ઘણી રસપ્રદ ઘટનાઓ બને છે. વાલબાઇની ભૂમિકા રાગિણીએ ભજવી છે.

બાળકોને લઈને ઘણી મોટી વાત કહેતી આવી સુંદર ફિલ્મ બનાવવા માટે વિનોદ ગણાત્રાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, પણ એક સિનેમારસિક તરીકે ચિંતા થાય એવો એક પ્રશ્ન સતાવી રહ્યો છે તે એ કે ગમે એટલા એવોર્ડ્સ મેળવવા છતાં આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થઈ શકશે ખરી?

આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે એક બાજુ તો આપણે એવી નિરાશા વ્યક્ત કરતા રહેતા હોઇએ છીકે આપણે ત્યાં સારી બાળફિલ્મો બનતી નથી, પણ જ્યારે બને છે ત્યારે તેને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. એવી ઘણી બાળફિલ્મો બની છે, જે થિયેટરો સુધી પહોંચી શકી નથી. વિનોદ ગણાત્રાની જ વાત કરીએ તો આ પહેલાં તેઓ “હેડા હોડા” નામની સુંદર બાળફિલ્મ બનાવી ચૂક્યા છે. તેને દુનિયાભરના બાળ ફિલ્મોત્સવોમાંથી એટલા બધા એવોર્ડ મળ્યા છે કે કદાચ વિનોદ ગણાત્રાએ તેની ગણતરી કરવાનું પણ છોડી દીધું હશે. પણ, અફસોસ કે આ ફિલ્મને લગભગ પાંચેક વર્ષ પછી પણ થિયેટર નસીબ થઈ શક્યું નથી. બાળ ફિલ્મ સોસાયટી જેવી સંસ્થાએ માત્ર ફિલ્મ નિર્માણ માટે નાણાં પૂરાં પાડીને સંતોષ માની લેવાને બદલે આ દિશામાં પણ કંઇક વિચારવું જરૂરી છે.

હજી તાજેતરમાં જ બાળ ફિલ્મ સોસાયટીનું અધ્યક્ષપદ નંદિતા દાસે સંભાળ્યું છે, અને તેમણે કહ્યું પણ છે કે તેઓ પોતાનું સમગ્ર ધ્યાન બાળ ફિલ્મોની પ્રવૃત્તિ પર કેન્દ્રિત કરવાનાં છે. જોઇએ…

2012

“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા પણ કહે છે)ના કેલેન્ડરનું ૧૩મું ચક્ર ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને તે સંદર્ભે જે આગાહી કરાઇ છે તે મુજબ તે દિવસે દુનિયાનો અંત આવશે જ એવું માનીને ગ્વાટેમાલામાં લાખો લોકો આપઘાત કરી લે છે. ખરેખર આગાહી સાચી પડશે કે કેમ તે જાણવા માટે IHC નામના એક ગુપ્ત સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. આ સંગઠન પણ એવો અહેવાલ આપે છે કે દુનિયાનો અંત આવી જશે. હવે દુનિયાભરના દેશોની સરકારો માનવજાતને બચાવી લેવાનું અતિ મુશ્કેલ કામ IHCને સોંપે છે. ૨૦૧૨ સુધીમાં ગમે તેમ કરીને દુનિયાને બચાવી લેવાના પ્લાન શરૂ થાય છે, પણ શું એ શક્ય બની શકશે ખરું? અંતે શું થાય છે તે ફિલ્મમાં જ જોવાનું રહ્યું. દિગ્દર્શ્ક રોનાલ્ડ એમેરિચની આ ફિલ્મ ખાસ્સી આતુરતા જગાવી ચૂકી છે.

ફિલ્મ “૨૦૧૨” તો જોવા મળે ત્યારે ખરી, પણ એ પહેલાં ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે એ આગાહીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી “નોસ્ટ્રાડામસ ૨૦૧૨” (Nostradamus 2012)જોઇ નાખી. આ એક દસ્તાવેજી ફિલ્મ છે અને ૨૦૧૨ માટે નોસ્ટ્રાડામસે કરેલી આગાહીઓ પર આધારિત છે. ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે તે સંદર્ભે નોસ્ટ્રાડામસે શું કહ્યું છે, અને શા માટે માનવજાતનું નિકંદન નીકળી જશે તેનાં તેણે શું કારણો આપ્યાં છે, અને નોસ્ટ્રાડામસની હંમેશાં ગૂઢ અને રહસ્યમય ગણાતી રહેલી આગાહીઓનું અર્થઘટન કરવામાં નિષ્ણાતો તે અંગે શું કહે છે તે ખૂબ જ વિસ્તૃત રીતે આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવાયું છે.

દુનિયામાં જ્યારે પણ ક્યાંય યુદ્ધ જેવી માનવસર્જિત કે ભૂકંપ જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે નોસ્ટ્રાડામસે એ મુજબની આગાહીઓ કરી હોવાના લેખો લખાવા માંડતા હોય છે. નોસ્ટ્રાડામસ આમ તો એક સીધોસાદો ફ્રેન્ચ તબીબ હતો.  પોતે કંઇક અસામાન્ય શક્તિઓ ધરાવે છે એ જાણ તેને જિંદગીની મધ્ય વયે થઈ હતી. બંને વિશ્વયુદ્ધો,  કેનેડીની હત્યાથી માડીને અંતરીક્ષમાં સિદ્ધિઓ વગેરેની હત્યાથી તેણે ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તેની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે. જોકે ૧૯૯૯માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવી તેની આગાહી સાચી પડી નથી.

nostradamus2012

નોસ્ટ્રાડામસના જીવન પરથી ”ધ મેન હૂ સો ટુમોરો” (The Man Who Saw Tomorrow) ફિલ્મ ૧૯૮૧માં બની હતી તે પણ જોવા જેવી છે. ૨૦૧૨નું વર્ષ નજીક આવશે તેમ તેમ નોસ્ટ્રાડામસની ઓર ચર્ચાસ્પદ બનતી રહેશે એમાં કોઇ શંકા નથી.

કોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે બતાવવામાં નથી માનતો. તે સ્પષ્ટપણે એવું માને છે કે જો માથું ધડથી અલગ કરવાનું દૃશ્ય હોય તો તે પડદા પર દેખાડવું જ જોઇએ. જેઓ ટેરેન્ટિનોની ફિલ્મોથી પરિચિત છે તેમને ખબર જ છે કે હિંસાને પડદા પર વધુ ને વધુ પ્રભાવક રીતે નિરૂપવામાં આ ફિલ્મકાર બેજોડ છે.

ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મો જોયા પછી એ ગમી કે નહિ એ જવાબ તરત આપી દેવો સહેલું નથી હોતું.  ”ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોયા પછી એવું જ બન્યું, પણ ટેરેન્ટિનોની ફિલ્મો સાથે હંમેશ બને છે તેમ તેની ફિલ્મો ધીમેધીમે તમારા પર સવાર થવા માંડે.

“ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” (Inglorious Bastards)માં બીજા વિશ્વયુદ્ધની એક કાલ્પનિક ઘટના છે. અગાઉ “ધ ગન્સ ઓફ નેવેરોન”થી માંડીને “વ્હેર ઇગલ્સ ડેર” સહિતની ઘણી કાલ્પનિક કથાઓ પરથી સુંદર યુદ્ધ ફિલ્મો બની ચૂકી છે, પણ જો ટેરેન્ટિનો  જો કોઇ કાલ્પનિક કથાનક હાથમાં લે તો કેવી ફિલ્મ બને એ “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોઇને જ ખ્યાલ આવે. અહીં ડ્રામા પણ છે, સારું એવું ટેન્શન ઊભું કર્યા પછી હળવાશમાં લઈ જતી ક્ષણો પણ છે, અને ટેરેન્ટિનો શૈલીની હિંસા સાથે મુખ્ય ત્રણ પાત્રો બ્રેડ પિટ (Brad Pitt), મેલેની લોરેન્ટ (Melanie Laurent) અને ક્રિસ્ટોફર વોલ્ત્ઝ ( Christoph Waltz)નો સુંદર અભિનય પણ છે. નાઝી અધિકારીની ભૂમિકામાં ક્રિસ્ટોફર વોલ્ત્ઝ તો ઓસ્કર નોમિનેશન મેળવી શકે એ કક્ષાનું કામ છે. નાઝી અધિકારીઓ કઈ હદે ક્રૂર અને બદમાશ હતા એનું ચિત્રણ ટેરેન્ટિનોએ વોલ્ત્ઝના પાત્ર દ્વારા પ્રભાવક રીતે કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે કોઇ નાઝી અધિકારીના પાત્રનો વિકાસ થવા માટે કોઇ દિગદર્શકે આટલો સમય ફાળવ્યો હોય એવા દાખલા બહુ ઓછા હશે.

નાઝીઓએ ફ્રાન્સ પર કબજો કર્યા પછી “જ્યુ હન્ટર” તરીકે કુખ્યાત નાઝી અધિકારી એક ગામમાં એક ખેડૂતના ઘરમાં સંતાયેલા એક યહૂદી પરિવારનો ખાતમો બોલાવે છે ત્યારે તેની એક દીકરી શોસાના ભાગી જવામાં સફળ થાય છે. તે સમય જતાં પેરિસમાં એક થિયેટરની માલિક બને છે. યુદ્ધની એક ઘટનામાં ૩૦૦ અમેરિકન સૈનિકોનો ખાતમો બોલાવનાર એક જર્મન સૈનિકને હીરો ચીતરતી ફિલ્મ “નેશન્સ પ્રાઇડ”નો પ્રિમિયર આ થિયેટરમાં યોજવાનું નક્કી થાય છે. તેમાં હિટલર સહિત તમામ ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે. એ બધા થિયેટરમાં હોય ત્યારે થિયેટરને આગ ચાંપી દઈ તમામને જીવતા ભૂંજી દઈ બદલો લેવાનો શોસાના પ્લાન બનાવે છે.

બીજી બાજુ અમેરિકન લશ્કરમાં રહેલા કેટલાક યહૂદીઓની ટોળી બ્રેડ પિટના નેતૃત્વમાં ફ્રાન્સ પહોંચે છે. તેમનો ધ્યેય એક જ છે, નાઝીઓને પકડી પકડીને ખતમ કરી નાખવા. તેઓ જે આતંક ફેલાવે છે તેને કારણે આ ગેંગ “બાસ્ટર્ડ્સ” તરીકે જાણીતી બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે એક થિયેટરમાં યોજાનારા ફિલ્મ પ્રિમિયરમાં ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે ત્યારે તેઓ પણ આત્મઘાતી બોમ્બરો બનીને ત્યાં પહોંચી જાય છે. શોસાના અને બાસ્ટર્ડ ગેંગે કરેલા પ્લાનથી એક્બીજા વાકેફ નથી કારણ કે તેમની કદી મુલાકાત જ થઈ નથી. બંને પોતપોતાના પ્લાન અમલમાં મૂકે તે પહેલાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે. ફિલ્મનો અંત એક ફિલ્મકારની પોતાની કલ્પના મુજબનો છે. ઇતિહાસમાં શું બન્યું છે એને તેઓ અનુસર્યા નથી.

ખ્યાતનામ ફિલ્મસમીક્ષક રોજર એબર્ટે (Roger Ebert) ખરું જ કહ્યું છે કે ટોરેન્ટિનોની ફિલ્મ એક વખત જોઈને કદી સંતોષ ન થાય.

૨૦૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…”  (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે ૧૭૫ રૂપિયા). જેતે ક્ષેત્રના જાણકાર લેખકોએ લખેલા લેખોનું સંપાદન યશવન્ત મહેતાએ કર્યું છે.

દેશની આઝાદીને ૫૦ વર્ષ થયાં હતાં ત્યારે  પ્રગટ થયેલા  “અર્ધશતાબ્દીનું અવલોક્ન” (સંપાદન : યશવન્ત મહેતા)ને પગલે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” આવ્યું છે. ૨૦ લેખકોના ૨૨ લેખોને આ ગ્રંથમાં સમાવાયા છે. એમ કહી શકાય કે ૨૦ લેખકોએ ૨૨ વિવિધ ક્ષેત્રોનું ૫૦ વર્ષોનું જે સરવૈયું આપ્યું છે તેનો તાળો યશવન્તભાઇએ મેળવ્યો છે. તેમની પ્રસ્તાવનાનું શીર્ષક જ છે “આવો, તાળો મેળવીએ.”

૨૦ લેખકોએ જે ૨૨ વિષયોને આવરી લીધા છે તેમાં આદિવાસીઓના જીવન તથા અર્ધશતાબ્દી અને પત્રકારત્વ (ઇન્દુકુમાર જાની), વિગ્નાન, ટેકનોલોજી અને ઉદ્યોગો (ડો. કિશોર પંડ્યા), ગુજરાતમાં મહિલાઓનું સ્થાન (ગાર્ગી વૈદ્ય), પ્રકાશનપ્રવૃત્તિ (જિતેન્દ્ર  દેસાઇ), લુપ્ત થતા લોકવારસાનું જતન (જોરાવરસિંહ જાદવ), ટીવીમય ગુજરાત (તુષાર તપોધન), ગુજરાતના રાજકીય પ્રવાહો (દિનેશ શુક્લ), પ્રકૃત્તિ અને પર્યાવરણ (નટવર હેડાઉ), ગુજરાતીઓની બદલાયેલી લાઇફસ્ટાઇલ : મહાગુજરાતથી મોલ કલ્ચર સુધી (બેલા ઠાકર), ગુજરાતી રંગભૂમિ – રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં (ભરત દવે), ગુજરાતના આર્થિક પ્રવાહો તથા ગુજરાતના ભદ્ર વર્ગનો બદલાયેલો ચહેરો (રમેશ બી. શાહ), કૃષિ અને ગ્રામવિકાસ (ડો. રવીન્દ્ર અંધારિયા), અર્ધશતાબ્દીનું ગુજરાતી સાહિત્ય – એક વિહંગાવલોકન (રવીન્દ્ર ઠાકોર), રમતગમત – સિદ્ધિઓથી ઘણા દૂર (સુધીર તલાટી), પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ (શાંતિભાઇ બી. પટેલ), અર્ધશતાબ્દી અને પંચાયતી રાજ (શિવદાન ગઢવી), ગુજરાતની દૃશ્યક્લા (હકુ શાહ), ગુજરાતની સેવાસંસ્થાઓ (હરિણેશ પંડ્યા) અને ગુજરાતનાસંગીતની અર્ધશતાબ્દી (ડો. હસુ યાગ્નિક)નો સમાવેશ થયો છે. ગુજરાતી ફિલ્મો વિષે લખવાનું મારા ભાગ્યે આવ્યું છે.

સંપાદકે લખ્યું છે તેમ અર્ધશતાબ્દીએ ગુજરાતના વિકાસની આ રૂપરેખામાં અમુક લેખની ક્ષતિપૂર્તિ કરવા સ્પેસ ફિલરનો ઉપયોગ કરીને પણ ઘણી ઉપયોગી માહિતિ અપાઇ છે. આ ગ્રંથના ઉદભવ સંદર્ભે યશવન્તભાઇએ એક મજાની નોંધમાં લખ્યું છે… “એક દૃ્ષ્ટિએ જોતાં, પચાસ વર્ષનો ગાળો બહુ ટૂંકો ગણાય, અને એટલા ગાળામાં થયેલાં પરિવર્તનો વિરાટ કાળપટના સંદર્ભમાં તુચ્છ લાગે. વળી, પચાસ વર્ષ પૂરાં થયા પછી તરત જ એનું મૂલ્યાંકન કરવા બેસીએ તે પણ કદાચ ઘણું વહેલું લાગે. ૧૯૬૦ના દાયકામાં કોઇકે માઓ જે-દુંગને પૂછેલું કે ફ્રેન્ચ ક્રાંતિનું જગત-ઇતિહાસમાં શું મહત્ત્વ છે, ત્યારે માઓએ કહેલું કે એ કહેવું ઘણું વહેલું ગણાય. (ત્યારે ફ્રેંચ ક્રાંતિને બે શતાબ્દીઓ વીતી ચૂકી હતી!) …અને છતાં વખતોવખત આત્મનિરિક્ષણ, આત્મટિપ્પણ અને આત્મમૂલ્યાંકન કરવાનું સમાજના સર્વાંગી હિતમાં હોવાથી, અર્ધશતાબ્દી નિમિત્તે કંઇક આવું આત્મ-અવલોકન કરવું મુનાસિબ લાગ્યું…”

ગુજરાતી ફિલ્મોનાં ૫૦ વર્ષના મારા વિષયની વાત કરું લેખ લખાયો અને ગ્રંથનું પ્રકાશન થયું એ વચ્ચે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વીતેલા એક વર્ષ દરમ્યાન બીજાં બધાં ક્ષેત્રોમાં જે કંઇ પરિવર્તનો થયાં હોય, ગુજરાતી ફિલ્મો ઠેરની ઠેર જ છે. હા, ફિલ્મો ઊતર્યે જાય છે, અને તેની સંખ્યા મોટી થતી જાય છે, વચ્ચે એવા પણ અહેવાલ હતા કે એકાદ-બે ફિલ્મોનાં શૂટિંગ લંડનમાં પણ થયાં છે. એવી બધી વાતોથી જો રાજી થઈ શકાતું હોય તો થઈ શકાય. બાકી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બનેલી મરાઠી ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની ઘટના પાંચ વર્ષમાં બીજી વાર બનતી હોય ત્યારે અર્ધશતાબ્દી વર્ષમાં આપણે પણ “બી પોઝિટિવ”નો મંત્ર અપનાવીને એવી આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી આપણો  દિવસ પણ ફરશે…

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત જ છે. નોબેલ જેવા પારિતોષિક સાથે જે કેટલાંક અનિવાર્ય અનિષ્ટો પેકેજ ડીલ તરીકે મળે છે એનો આ એક ભાગ જ છે.

વર્ષો પહેલાં વાર્તા સામયિક “ચાંદની”ના સહ-સંપાદક તરીકે કાર્યરત હતો ત્યારે એક લેખ “નોબેલ પારિતોષિક કાંટાળો તાજ છે?”  લખવાનું થયું હતું. તે  “ચાંદની”ના ૧૯૮૬ની ૭ ડિસેમ્બરના અંકમાં પ્રગટ થયો હતો.  લેખનો એક સૂર એ હતો કે નોબેલ પારિતોષિક આપવાનો મૂળ હેતુ “નાણાંના અભાવે કામ અટકી ન પડે” તે જાણે બર આવતો જ નથી. ઊલટું આ પારિતોષિક જ તેમના માર્ગમાં આડું આવતું હોય છે. વિગ્નાનના ક્ષેત્રે તો આવા અનેક દાખલા મળી આવે છે કે નોબેલ જીત્યા પછી વિગ્નાનીઓ પોતાના ક્ષેત્રે ખાસ કંઇ ઉકાળી શક્યા ન હોય. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નોબેલ મળ્યા પછી વિગ્નાની “અતિ વિશિષ્ટ” વિગ્નાનીઓના વર્ગમાં આવી જાય છે, અને માન-સન્માન, પ્રતિષ્ઠા અને નાણાં મળતાં તેને પોતાને એમ લાગવા માંડે છે કે હવે કંઇ કરવાનું બાકી રહેતું નથી.

જે વિગ્નાનીઓને નાની ઉંમરે નોબેલ મળી જાય છે તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિગ્નાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ મળી ગયું હતું. તેમને નોબેલ મળ્યાની જાણ થતાં તેમનો પહેલો પ્રતિભાવ એ હતો કે “હવે હું આખી જિંદગી શું કરીશ?”

આજે ઇ-મેઇલના જમાનામાં વેન્કી જેવા વિગ્નાની પર ઇ-મેઇલનો મારો થાય છે, જૂના સમયમાં વિજેતાઓ પર પત્રોનો મારો થતો. બધા પત્રોના કદાચ જવાબ ન આપે તો પણ ઘણા પત્રોના જવાબ આપવા પડે તેમ જ હોય. તેમાં ઘણો સમય વેડફાય. એક નોબેલ વિજેતા વિગ્નાની ડો. ક્રિકે તો પત્રોના જવાબ આપવામાં સમય ન બગડે તે માટે એક છાપેલું ફોર્મ જ રાખ્યું હતું. તેમાં નિશાની કરીને તે મોકલી આપતા.

મેડમ ક્યુરીને બે વાર નોબેલ મળ્યું હતું. તેઓ કહેતાં કે “પત્રોના મારાએ અમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મહામહેનતે હું “ના” પાડી શકું છું. જવાબ આપવા તો દૂર રહ્યા, પત્રો વાંચવામાંય ખૂબ સમય લાગે છે. ”

નોબેલ મળ્યા પછી વિગ્નાનીઓની કામ કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવી જાય છે. પછી તેઓ નાનાંમોટાં કામમાં તો હાથ પણ નથી નાખતા. ઓછાં મહત્ત્વનાં રિસર્ચ પેપરોમાંથી પોતાનું નામ પણ કઢાવી નાખે છે. બીજી બાજુ તેમનાં સંશોધન કાર્ય સિવાય બીજાં ઇત્તર કાર્યોમાં તેમનો વધુ સમય વીતવા માંડે છે.

૧૯૦૧થી ૨૦૦૯ સુધીનાં વર્ષો દરમ્યાન અસંખ્ય વિગ્નાનીઓને નોબેલ પારિતોષિકો મળ્યાં છે. તેમાંથી કેટલાને પારિતોષિક ફળ્યું અને તેમણે નવી સિદ્ધિઓ હાંસલ કરી અને કેટલાને માટે તે કારકિર્દીના પૂર્ણવિરામરૂપ બની રહ્યું એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય બની શકે…

હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…

***

એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે આગ્રહ કર્યો, “આપ અંદર પધારો અને ભોજન કરો.”

સંતોએ પૂછ્યું, “તમારા પતિ ઘરમાં છે?”

તેણે કહ્યું, “ના, તે બહાર ગયા છે.”

“તો અમે અત્યારે નહિ આવી શકીએ. તે જ્યારે ઘેર હશે ત્યારે આવીશું”. સંતોએ કહ્યું.

સાંજે તેનો પતિ ઘેર આવ્યો ત્યારે સ્ત્રીએ તેને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, “જઈને એમને કહે કે હું ઘેર આવી ગયો છું અને તેમને માનભેર બોલાવી લાવ.”

સ્ત્રી બહાર ગઈ અને તેમને અંદર આવવા કહ્યું.

સંત બોલ્યા, “અમે એકસાથે કોઇના ઘરમાં નથી જતા.”

“એવું કેમ?” સ્ત્રીએ પૂછ્યું.

તેમાંથી એક સંતે કહ્યું, “મારું નામ ધન છે.” પછી બીજા સંતો તરફ ઇશારો કર્યો, “આ બંનેનું નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઇ એક જ અંદર આવી શકે. તમારા પતિ સાથે વાત કરીને નક્કી કરી લો કે કોને અંદર બોલાવવા છે!”

સ્ત્રીએ અંદર જઈને પતિને બધી વાત કરી. એ બહુ ખુશ થયો. તેણે કહ્યું, “જો એવું જ હોય તો આપણે ધનને આમંત્રિત કરવો જોઇએ. આપણું ઘર ખુશીઓથી ભરાઇ જશે.”

પણ પત્નીએ કહ્યું, “મને લાગે છે કે આપણે સફળતાને બોલાવીએ.”

બીજા ઓરડામાં બેઠેલી તેમની દીકરી પણ આ સાંભળતી હતી. તેણે આવીને કહ્યું, “મને લાગે છે આપણે પ્રેમને બોલાવવો જોઇએ. પ્રેમથી ઉમદા બીજું કંઇ નથી.”

“તું ખરું કહે છે, આપણે પ્રેમને જ બોલાવવો જોઇએ.” તેનાં માતા-પિતાએ કહ્યું.

સ્ત્રી બહાર ગઈ અને તેણે સંતોને પૂછ્યું, “તમારામાંથી જેનું નામ પ્રેમ છે તેઓ મહેરબાની કરીને અંદર આવે.”

પ્રેમે ઘર તરફ ડગલાં માંડ્યાં એટલે બીજા બે સંત પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું, “મેં તો માત્ર પ્રેમની આવવા કહ્યું છે. તમે બંને કેમ આવી રહ્યા છો?”

“જો તમે ધન અને સફળતામાંથી કોઇ એકને આમંત્રણ આપ્યું હોત તો એકલો એ જ અંદર જાત, પણ તમે પ્રેમને બોલાવ્યો છે. પ્રેમ કદી એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે, ધન અને સફળતા તેની પાછળ જાય છે.” ધન નામના સંતનો આ જવાબ હતો.

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.

આપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.

જર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું.  સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો  નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.

જર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.

બાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના  દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…

germanસ્ટુટગાર્ટના એક વિશાળ મોલ “ગેલેરિયા”માં લટાર મારતાં મારતાં વાસણોના વિભાગમાં જઈ પહોંચ્યાં. અમદાવાદમાં પણ હવે મોલ કલ્ચર સારું એવું વિકસી ચૂક્યું છે એટલે કોઇ મોલમાં જઈને નવાઇ પામવા જેવું તો ભાગ્યે જ કંઇ રહ્યું છે. જાતજાતનાં વાસણો, રસોડામાં કામ લાગે તેવાં ઉપકરણો વચ્ચેથી પસાર થતાં હતાં ત્યાં પ્રતીક્ષાએ પ્રશ્ર કર્યો, “જર્મન સિલ્વરનાં વાસણો હોય એ અહીં મળતાં હશે?” પછી પૂછ્યું, “જર્મન સિલ્વર એટલે શું હોય?”
મારી જે થોડીઘણી જાણકારી હતી તેને આધારે મેં કહ્યું કે જર્મનીમાં કદાચ શોધાઇ હશે એટલે તેને જર્મન સિલ્વર કહેતા હશે. “બટ વ્હાય સિલ્વર?” પ્રતીક્ષાનો પ્રશ્ન. એનો જવાબ તો મને ખબર નહોતી. વાત પૂરી થઈ પણ એ પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહ્યો. ઘેર પહોંચીને જર્મન સિલ્વર વિષે થોડી માહિતી શોધવા પ્રયાસ કર્યો. સૌથી પહેલાં એ જોયું કે “ભગવદ્ગોમંડળ” એ વિષે શું કહે છે. તેમાં જણાવાયું છે કે “એક જાતની રૂપા જેવી તાંબું, જસત અને નિકલના મિશ્રણવાળી ચળકતી ધાતુ. વજનમાં હલકી હોવાથી તેનો વાસણ, વિમાન વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.”
કોલંબિયા એન્સાઇક્લોપિડિયામાં જર્મન સિલ્વર વિષે એવી માહિતી છે કે “તાંબું, જસત અને નિકલના વિવિધ મિશ્રણને જર્મન સિલ્વર નામ અપાયું છે. ક્યારેક તેમાં સીસું અને ટિન પણ હોય છે. તેના ચાંદી જેવા રંગને લીધે તેને આ નામ મળ્યું છે. જોકે જે મિશ્રણમાં ચાંદી એટલે કે સિલ્વર ન હોય તેને માટે સિલ્વર શબ્દનો ઉપયોગ કરવા પર હવે પ્રતિબંધ છે. આ ધાતુ તેની સખતાઇ, મજબુતાઇ અને હવામાનની અસરને લીધે ખવાઇ જવા સામે પ્રતિરોધક હોવાને લીધે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ૧૯મી સદીના પ્રારંભે એક જર્મન રસાયણશાસ્ત્રી ઇ. એ. ગેઇટનરે તેની શોધ કરી હતી.”
આજે પણ જર્મન સિલ્વરનો વ્યાપક ઉપયોગ થાય છે, અને વાસણો ઉપરાંત વિવિધ વાજિંત્રો બનાવવામાં તે ખાસ વપરાય છે. બીજા પણ તેના ઘણા ઉપયોગો છે.
એક સમય હતો કે ગામડાંઓમાં પણ ભાગ્યે જ કોઇ ઘર એવું હોય જ્યાં જર્મન સિલ્વરનાં વાસણો ન હોય. પ્રતીક્ષાએ જર્મન સિલ્વર અંગે પ્રશ્ન પૂછ્યો તે પછી ખરેખર તો મારું મન બાળપણની યાદોમાં સરી પડ્યું હતું. પોરબંદર પાસેના નાનકડા ગામ છાંયા (આજે તો છાંયા નગરપાલિકા છે)ના અમારા ઘરમાં હું નાનો હતો ત્યારે જર્મન સિલ્વરનાં વાસણો હતાં અને એક ખાસ વાટકામાં હું ખાતો તે આજે પણ મારી નજર સામે તરવરી ઊઠ્યો છે. એ બધાં વાસણોનું પછી શું થયું એ હવે યાદ નથી, પણ માત્ર તેની સ્મૃતિઓ રહી છે.
છેક અહીં જર્મનીના સ્ટુટગાર્ટમાં નાનપણની યાદો આ રીતે સજીવન થઈ ઊઠશે એવી તો કલ્પના પણ ક્યારે કરી હોય…

Angels_and_demonsસિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”

આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ આસ્તિકતા અને નાસ્તિકતા એથી ક્યાંય વધુ ગહન બાબત છે. ભગવાનમાં માનનારો પૂરેપૂરો આસ્તિક ન હોય અને ન માનનારો સાવ નાસ્તિક ન પણ હોય. આમ પણ આસ્તિકતા અને નાસ્તિકતા ઘણા લોકો માટે સગવડિયો ધર્મ હોય છે.  આ વિષય પર ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં ટોમ હેન્ક્સ પણ જવાબમાં સીધી હા કે ના પાડતો નથી. તે કંઇક ફેરવીને જવાબ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને પૂછવામાં આવે છે, “કોણ શું કહે છે એ નહિ, તમે પોતે ભગવાનમાં માનો છો?” જવાબમાં તે કહે છે, “મારું મન કહે છે કે હજી હું ભગવાનને સમજી શક્યો નથી.” પ્રશ્ન : “તમારું દિલ શું કહે છે?” ટોમ હેન્ક્સ કહે છે, “શ્રદ્ધા એક ભેટ છે, જે હજી મને મળી નથી.” 

બેએક વર્ષ પહેલાં ડેન બ્રાઉનની નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ “દા વિન્ચી કોડ” ખૂબ વિવાદાસ્પદ બની હતી. તેના પર પ્રતિબંધ લગાડવાની માંગણીઓ થઈ હતી, પણ ફિલ્મ સારી ચાલી હતી. તેને કારણે ડેન બ્રાઉને”દા વિન્ચી કોડ” પહેલાં લખેલી પણ ખાસ કોઈના ધ્યાનમાં ન આવેલી “એન્જલ્સ એન્ડ ડેમન્સ”ની પણ લોટરી લાગી ગઈ. બુક તો બેસ્ટ સેલર થઈ જ, તેના પરથી ફિલ્મ પણ બની, જે હાલમાં રીલીઝ થઈ છે.  

“દા વિન્ચી કોડ”માં લિયોનાર્ડો દા વિન્ચીનાં જગવિખ્યાત પેઇન્ટિંસ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર”નાં ખ્રિસ્તી ધર્મને સાંકળીને કરાયેલાં અર્થઘટનોએ વિવાદ સર્જ્યો હતો.”એન્જલ્સ એન્ડ ડેમન્સ”નું કથાનક પણ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા કેન્દ્ર વેટિકનમાં આકાર લે છે. સંદર્ભ છેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે યુરોપમાં ચર્ચનું પ્રભુત્ત્વ હતું અને ધર્મ સામે વિગ્નાનની કોઈ વિસાત નહોતી. ગેલિલિયો જેવા વૈગ્નાનિકોને તેને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું એ તો  જગજાહેર છે. એ ઘટનાઓ અંગે વેટિકન તરફથી દિલગીરી પણ વ્યક્ત થઈ ચૂકી છે. 

કહે છે કે ગેલિલિયો અને એ પછીના સમયમાં વૈગ્નાનિકો, કલાકારો વગેરે પ્રબુદ્ધોએ Illuminati નામનું એક સંગઠન રચ્યું હતું જે આજે પણ એક ગુપ્ત અને ભેદી સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. આ Illuminati ફરી સક્રિય થયું છે અને સદીઓ પહેલાં ચર્ચે ચાર વૈગ્નાનિકોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા તેનો બદલો લેવા આવ્યું હોવાનું ફિલ્મનું કથાનક છે. સ્વિત્ઝરલેન્ડની “સર્ન” (CERN) પ્રયોગશાળામાં વિશ્વની ઉત્પત્તિ માટે જવાબદાર લેખાતા કણ Antimatter નું સંશોધન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ Antimatter એવી ઊર્જા છે કે જો તેનો વિધેયાત્મક ઉપયોગ કરાય તો માનવજાત ન્યાલ થઈ જાય, પણ તો તે હજારો અણુબોંબ એકસાથે ફાટે એવો વિનાશ સર્જી શકે. Antimatter રૂપી આ ભયાનક બોંબ વેટિકનમાં ગોઠવીને તેને અને તેની સાથે ખ્રિસ્તી ધર્મને નેસ્તનાબૂદ કરી નાખવાની Illuminatiની ભયાનક યોજના છે. CERN માંથી Antimatter ની ચોરી સાથે ફિલ્મનો પ્રારંભ થાય છે. 

સિસ્ટાઇન ચેપલ સહિતનાં વેટિકનનાં ખ્યાતનામ સ્થળો, પોપનું મૃત્યુ અને નવા પોપની વરણીની પ્રક્રિયાની સાથોસાથ વેટિકનમાં ક્યાંક ગોઠવાયેલું Antimatter ગણતરીના કલાલોમાં શોધવાની દોડધામ અને તે સાથે બનતી રહસ્યમય ઘટનાઓ પ્રેક્ષકોને ઝકડી રાખે છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ૪૦૦ વર્ષ પહેલાં હતા એવા વિગ્નાનના વિરોધીઓ આજે પણ છે. ફિલ્મનો એક સંવાદ : “વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય જો વિગ્નાનના હાથમાં આવી જશે તો ભગવાન માટે શૂં બચશે?”

પ્રતીક્ષાએ Angels & Demons બુક વાંચી છે. તેના કહેવા મુજબ બુક જેટલી મજા ફિલ્મમાં આવતી નથી. એ પછી બુક વાંચવાની ઇન્તેજારી વધી ગઈ છે…

 

બિરકેનકોફ પર...

બિરકેનકોફ પર...

સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી સ્મૃતિઓ નિહાળવાનું વિશેષ મહત્ત્વ હતું. આમ પણ અત્યંત એકાંત ઇચ્છતાં યુગલોને બાદ કરતાં આ પહાડી પર ચઢતાં પ્રવાસીઓ મોટા ભાગે આ સ્મૃતિઓ જોવાના હેતુથી જ આવતાં હોય છે.

બિરકેનકોફનું બસસ્ટેન્ડ ખાસ્સા ઊંચાણ પર આવેલું છે, પણ પહાડી ચઢવા માટે લગભગ ચારેક કિલોમીટર ચાલવું પડે. ટોચે પહોંચીએ એટલે એક બાજુ પહાડી પરથી ચારેકોર અફાટ ફેલાયેલી હરિયાળી મનને પ્રફુલ્લિત કરી દે, પણ પહાડી પર ખડકાયેલો કાટમાળ મનને ગ્લાનિથી ભરી દે. બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાનો દસ્તાવેજ જાણે અહીં જીવંત થઈ ઊઠે છે.

DSC01843 

આખા યુરોપને તહસનહસ કરી નાંખનારા બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આ નાનકડા શહેર પર ૫૩ જેટલા હવાઇ હુમલા થયા હતા, જેને કારણે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં હતાં. યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં શહેરનું તો પુન:નિર્માણ થયું, પણ યુદ્ધની તબાહી આંખો સામે રહે અને આવનારી પેઢી માટે એક સબક બની રહે તે માટે ૧૯૫૩થી ૧૯૫૭નાં વર્ષો દરમ્યાન લગભગ ૧૫ લાખ ઘનમીટર કાટમાળ બિરકેનકોફ પહાડી પર ખડકી દેવાયો. તેને કારણે પહાડીની ઊંચાઇ લગભગ ૪૦ મીટર વધી ગઈ. બિલ્ડિંગોની છત, કમાન, થાંભલા, દીવાલો વગેરેના નાનામોટા ટુકડાઓનો અહીં ખડકલો છે. એક ક્રોસની મોજૂદગી પણ માહોલને ઓર ગમગીન બનાવતી રહે છે. પણ જેવી કાટમાળ તરફથી નજર દૂર સુધી લીલોતરી વચ્ચે ધબકતા સ્ટુટગાર્ટ તરફ ફરે કે તરત યુદ્ધ એક ઇતિહાસ બની રહે… હા, ભૂલી ન શકાય તેવો ઇતિહાસ…

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

Older Posts »