Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

cinema-book title
“ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ” પુસ્તક અંતે પ્રગટ થયું. અંતે શબ્દ એટલે વાપર્યો છે કે લગભગ છ-સાત વર્ષથી હસ્તપ્રત તૈયાર હતી, મૂળ તો “યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ” માટે આ પ્રોજેક્ટ હતો. બોર્ડના તત્કાલીન અધ્યક્ષ ડો. કેશુભાઇ દેસાઇ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તરત તેમણે મંજૂર કર્યો હતો. જોકે હસ્તપ્રત તૈયાર થઈ સુધીમાં સ્થિતિ એવી સર્જાઇ હતી કે ગ્રંથનિર્માણ બોર્ડે તેની પ્રવૃત્તિઓ ઘણી મર્યાદિત કરી નાખી હતી અને નવા ગ્રંથોનું પ્રકાશન લગભગ નહિવત હતું, પણ એક જાણીતા પ્રકાશકે આ પુસ્તક છાપવામાં રસ દાખવ્યો. જોકે લગભગ બે વર્ષ પછી તેમણે એમ કહીને હસ્તપ્રત પરત કરી કે “સિનેમાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.” એ પછી બીજા એક પ્રકાશકે પણ દોઢેક વર્ષ તેમની પાસે હસ્તપ્રત રાખી મૂકી, અંતે કંટાળીને હસ્તપ્રત પાછી મંગાવી ત્યારે જોયું તો તેમણે કવર પણ ખોલ્યું નહોતું. અંતે પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના બાબુભાઇ શાહે રસ દાખવ્યો અને “ભારતીય સિનેમાનાં સો વર્ષ” (પૃષ્ઠ – ૨૯૮, કિંમત – ૨૫૦ રુપિયા) પુસ્તક પ્રગટ થઈ શક્યું.

ભારતીય મૂક ફિલ્મો વિષે છૂટાછવાયા લેખો વાંચવા મળતા હતા, પણ માત્ર મૂક ફિલ્મોની વાત કરતું હોય એવું પુસ્તક હાથમાં આવતું નહોતું, એટલે મૂક ફિલ્મો વિષે જેટલી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે આપવાનું પ્રયોજન હતું. તેમાં કેટલી સફળતા મળી એ તો વાચકો જ કહી શકશે.

વિશ્વમાં સિનેમાના આવિર્ભાવથી માંડીને ભારતમાં ફિલ્મનું આગમન, ફિલ્મ બનાવવાના પ્રયાસો, ફિલ્મોનું નિર્માણ, ફિલ્મકારો, કલાકારો, સેન્સરશિપથી માંડીને સવાક ફિલ્મના નિર્માણ સુધીનો સમયગાળો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણના પ્રારંભે સિનેમા સંદર્ભે કોઇ ને કોઇ મહાનુભાવનું અવતરણ મૂક્યું છે. નવાઇ લાગે તેવી વાત છે પણ સિનેમાના શોધક ગણાતા લુમિયર બંધુઓ પણ તેમણે કરેલી શોધ કેવી મૂલ્યવાન છે, એ પારખવામાં થાપ ખાઇ ગયા હતા. લુઇસ લુમિયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “સિનેમા એક એવી શોધ છે, જેનું કોઇ ભવિષ્ય નથી.” ઓગસ્ટ લુમિયરે પણ એવું કહ્યું હતું કે “અમારી શોધનો એક ચોક્કસ સમય સુધી વૈગ્નાનિક કુતૂહલ તરીકે ઉપયોગ કરી શકાશે, પણ તેને બાદ કરતાં આ શોધનું કોઇ વ્યાવસાયિક ભવિષ્ય નથી.”

બીજાં કેટલાંક અવતરણો :

– વર્તમાન યુગમાં જો કોઇ કલા માધ્યમનો પ્રભાવ સૌથી વધુ હોય તો તે નિ:શંકપણે ફિલ્મો છે. – જવાહરલાલ નેહરુ

– લખાયેલા શબ્દની જેમ ફિલ્મ પણ એક ભાષા છે, જેને લખવા અને વાંચવા માટે નવા દૃષ્ટિકોણની જરુર છે. – ફ્રેન્ચ ફિલ્મકાર આસ્ત્રુક

– સિનેમા એ વિશ્વનું સૌથી ખૂબસૂરત છળ છે. – ઝ્યાં લુક ગોદાર્દ

– સિનેમાને કોઇ સીમાડા નથી હોતા. તે સપનાંઓની એક લાંબી પટ્ટી છે. – ઓરસન વેલ્ઝ

– માત્ર અડધી સદીમાં તો ફિલ્મો મૂકમાંથી શબ્દાતીત બની ગઈ. – ડો. લાર્સન

– સિનેમાએ તમને એ ભુલવાડી દેવું જોઇએ કે તમે થિયેટરમાં બેઠા છો. – રોમન પોલાન્સ્કી

– મૂક ફિલ્મો સવાક ફિલ્મોમાંથી વિકસી હોત તો તે વધુ તાર્કિક બની રહ્યું હોત. – મેરી પિકફોર્ડ

– ફિલ્મનિર્માણ એ નાણાંને પ્રકાશમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. અંતે તો છબિઓ દીવાલ પર ઝબકારા મારતી હોય છે. – જોન બુરમેન

– એક સો લેખો જે કામ નહિ કરી શકે તે એક ફિલ્મ કરી શકશે. – લોકમાન્ય ટિળક

– તમામ ફિલ્મો અતિવાસ્તવવાદી હોય છે. તેઓ એવું કંઇક બનાવે છે, જે વાસ્તવિક દુનિયા જેવું હોય, પણ એ હોતું નથી. – માઇકલ પોવેલ

– દરેક સફળ ફિલ્મમાં એક નાનો ચમત્કાર હોય છે. – એલિયા કઝાન

– ફિલ્મ એ ત્રણ યુનિવર્સલ ભાષાઓમાંની એક છે. અન્ય બે છે, ગણિત અને સંગીત. – ફ્રાન્ક કાપરા

– જો તેને લખી શકાય કે વિચારી શકાય તો તેના પરથી ફિલ્મ બનાવી શકાય. – સ્ટેન્લી કુબ્રિક

સુરેન્દ્રનગરથી લેખક-મિત્ર બકુલ દવેનો ફોન આવ્યો. “મારી પાસે “ચેરિયેટ્સ ઓફ ફાયર”ની ડીવીડી આવી છે. તમે એ ફિલ્મ જોઇ છે? ”

ઓલિમ્પિકની સીઝન શરૂ થઈ રહી હોય અને હાથમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”ની ડીવીડી હોય તો એનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે? વર્ષો પહેલાં અમદાવાદના એડવાન્સ થિયેટરમાં આ ફિલ્મ જોયાનું યાદ છે.

ઓલિમ્પિકની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મોમાં અવ્વલ છે “ચેરિયેટ્સ ઓફ ફાયર” (Chariots of Fire). ૧૯૮૧માં રજૂ થયેલી આ ફિલ્મ એટલી મજબૂત હતી કે તેને એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન અને શ્રેષ્ઠ સંગીતના કુલ ચાર ઓસ્કર એવોર્ડ મળ્યા હતા, અને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને શ્રેષ્ઠ એડિટિંગ માટે નોમિનેશન મળ્યાં હતાં.

૧૯૨૪માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં બે બ્રિટિશ દોડવીરો કઈ રીતે બધાની નવાઇ વચ્ચે અને ખાસ તો એ વખતના મજબૂત અમેરિકન હરીફોને મહાત કરીને સુવર્ણ ચંદ્રકો જીતી જાય છે એ વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ટ્રેક રમતોમાં બ્રિટનની ટીમે એવો દેખાવ એ પહેલાં પણ કદી નહોતો કર્યો અને એ પછી પણ કદી નથી કર્યો.

૧૯૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જ્યારે બ્રિટનના ખેલાડીઓ પેરિસ પહોંચ્યા ત્યારે કોઇને કલ્પના નહોતી કે આ બે ખેલાડીઓ શો ચમત્કાર કરી શકે તેમ છે. દિગ્દર્શક હ્યુ હડસને આ બંન્ને ખેલાડીઓ હેરોલ્ડ અબ્રાહમ્સ (Harold Abrahams) અને એરિક લાઇડેલે (Eric Liddell) કયા સંજોગોમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા અને એ વખતની બંન્નેની મનોસ્થિતિ શી હતી તેનું ખૂબ જ ઊંડે જઈને નિરુપણ કર્યું છે, પરિણામે આ ફિલ્મ “ચેરિયેટ્સ ઓફ ફાયર” માત્ર એક “સ્પોર્ટ્સ મુવી” ન બની રહેતાં તેના સીમાડા ઓર વિસ્તરી શક્યા છે.

આજે તો રમતો જ્યાં રમાતી હોય ત્યાં ખેલદિલીનું તત્ત્વ કેટલું છે એ શોધવું પડે એવી સ્થિતિ છે, પણ જે સમયે રમતને માત્ર રમત તરીકે લેવાતી, ખેલાડી પોતે જીતવાના બધા પ્રયાસો કરે, પણ હરીફને કોઇ પણ ભોગે પછાડી દેવા માટે કંઇ પણ કરી છૂટવાનું ઝનૂન ખેલાડીઓમાં નહોતું અને હરીફો પ્રત્યે પણ અટલો જ આદર રહેતો એ સમયની આ વાત છે. આજે તો ખેલાડીઓની સહાય માટે ટેકનોલોજીથી માંડીને આધુનિક સામગ્રી તેમને મળી રહે છે, પણ ૧૯૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં સફેદ પોશાકમાં સજ્જ બંન્ને બ્રિટિશ ખેલાડીઓ તેમના જીવનની દોડ દોડ્યા હતા અને ચંદ્રકો જીત્યા હતા.

હેરોલ્ડ અબ્રાહમ્સ અને એરિક લાઇડેલ બંન્નેની અંદર ઓલિમ્પિકમાં જીતવા માટે જે આગ પ્રજ્વલિત થઈ હતી તેનાં કારણો બંન્ને માટે જુદાં હતાં. હેરોલ્ડ અબ્રાહમ્સ બ્રિટિશ યહૂદી હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાને ઝાઝો સમય નહોતો થયો. તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં તેણે અવારનવાર યહૂદી વિરોધી માહોલનો સામનો કરતા રહેવું પડે છે. એરિક લાઇડેલ સ્કોટિશ ખ્રિસ્તી હતો. તેના પિતા ચીનમાં મીશનરી હતા અને તે પણ પિતાનો એ વારસો સંભાળી લેવા ચીન જવાનો હતો. બંન્ને જણાને દોડવાનો એટલો શોખ હતો કે તેઓ જ્યારે દોડતા ત્યારે તેમને પાંખો આવી જતી એવું બંન્નેને લાગતું. પેરિસ ઓલિમ્પિકમાં તેઓ દોડ્યા ત્યારે પણ હરીફોને મહાત કરવા કરતાં પોતાને માટે થઈને દોડ્યા હતા.

બ્રિટિશ યહૂદી હેરોલ્ડ અબ્રાહમ્સને એ પુરવાર કરવું હતું કે પોતે અને વ્યાપક અર્થમાં પોતાનો સમાજ દુનિયામાં બીજા કોઇના કરતાં કોઇ પણ રીતે ઊતરતો નથી, જ્યારે એરિક લાઇડેલ દોડ્યો ત્યારે તે તેની મસ્તીમાં હતો. તે એવું માનતો હતો કે ઇશ્વરે ઝડપી દોડવા માટે જ તેનું સર્જન કર્યું છે અને તે જ્યારે પણ દોડે છે ત્યારે ઇશ્વર તેની સાથે હોય છે, એટલે પરાજય થશે તો પણ પોતાનો પરાજય થવાનો જ નથી.

હેરોલ્ડ અને એરિક બંન્નેએ બ્રિટિશ ખેલાડીઓ તરીકે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પણ વિજય માટેની તેમની લાલસા તેમના દેશ માટે નહોતી, પણ વ્યક્તિગત ગૌરવ માટે હતી અને બંન્નેનાં કારણો પણ જુદાં હતાં. એરિક લાઇડેલના કિસ્સામાં તો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું નક્કી કર્યા પછે તેણે ટાઇમિંગ માટે પ્રેકટિસ શરૂ કરી ત્યારે તેની બહેનને એ નિરર્થક લાગ્યું હતું. તેણે એરિકને કહ્યું પણ ખરું કે “તું ઇશ્વર પ્રત્યેની તારી ફરજમાંથી ચલિત થઈ રહ્યો છે.” ત્યારે એરિકે તેને સમજાવ્યું કે “ઇશ્વરે ખાસ હેતુ માટે મારું સર્જન કર્યું છે એવું હું માનું છું. તેણે મને ઝડપી બનાવ્યો છે. જ્યારે હું દોડું છું ત્યારે તેના આનંદની અનુભૂતિ કરું છું. મારી જીત તેનું ગૌરવ વધારશે.”

ઓલિમ્પિકમાં પણ શિડ્યુલ એ રીતે ગોઠવાયું હતું કે તેને સ્પર્ધામાં ભાગ લેવાનો હતો તે દિવસે રવિવાર હતો. એક સાચો ખિસ્તી રવિવારે માત્ર પ્રભુભક્તિ કરે અને બીજું કોઇ પણ પ્રકારનું કામ ન કરે એવું દૃઢપણે માનતા એરિકે સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી દીધી. તેને સમજાવવાના ઘણા પ્રયાસ થયા, પણ તે એકનો બે ન થયો. અંતે રવિવારે ન હોય એવી ૪૦૦ મીટર દોડની સ્પર્ધા માટે એક બ્રિટિશ ખેલાડી (Lord Andrew Lindsay)એ પોતાનું સ્થાન તેને આપી દીધું. મજાની વાત તો એ છે કે એ ખેલાડી પોતે ૪૦૦ મીટર હર્ડલમાં તો રૌપ્ય ચંદ્રક  જીતી ચૂક્યો હતો તે છતાં એરિક માટે તેણે એ ભોગ આપ્યો.

૪૦૦ મીટરની એ સ્પર્ધામાં અમેરિકન દોડવીર જેકસન શોલ્ઝ હોટ ફેવરિટ હતો. જેકસનને તેના કોચે કહ્યું હતું કે એરિક ખાસ કશૂં કરી શકે તેમ નથી, કારણ કે ૪૦૦ મીટર દોડ તેની સ્પેશિયાલિટી નથી, પણ એરિક જે કારણસર ૪૦૦ મીટર દોડવા તૈયાર થયો હતો તેનાથી જેકસન પ્રભાવિત હતો. સ્પર્ધા શરૂ થઈ એ પહેલાં જેકસન એરિકને મળ્યો હતો, અને તેને એક ચબરખી આપી હતી. તેમાં લખ્યું હતું, “જે મારો આદર કરે છે, હું તેનો આદર કરું છું.”

૪૦૦ મીટરની એ સ્પર્ધામાં એરિકે સુવર્ણ ચંદ્રક મેળવ્યો એટલું જ નહિ, જે ઇવેન્ટમાં તેની સ્પેશિયાલિટી નહોતી તેમાં તેણે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. જ્યારે હેરોલ્ડ ૨૦૦ મીટર દોડમાં હોટ ફેવરિટ અને અનુભવી દોડવીર અમેરિકન ચાર્લ્સ પેડોક (Charles Paddock) સામે હારી ગયો હતો, પણ ૧૦૦ મીટર દોડમાં એ જ પેડોકને હરાવીને તે સુવર્ણ ચંદ્રક જીતી ગયો હતો.

ફિલ્મના અંતે પ્રેક્ષકોને એવી માહિતી આપવામાં આવે છે કે એરિક એ પછી ચીનમાં મીશનરી તરીકે ગયો હતો અને બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓએ તેને કેદ કર્યો હતો. કેદીઓ વચ્ચે રહીને તેણે પોતાનું કામ જારી રાખ્યું હતું, પણ યુદ્ધ પૂરું થાય એ પહેલાં તેનું મોત થયું હતું. હેરોલ્ડ તેના પારિવારિક બિઝનેસમાં જોડાયો હતો.

ફિલ્મમાં હેરોલ્ડ અબ્રાહમ્સનું પાત્ર બેન ક્રોસ (Ben Cross) અને એરિક લાઇડેલ (Ian Charleson)નું પાત્ર ઇયાન ચાર્લ્સે ભજવ્યું હતું. દિગ્દર્શક હ્યુ હડસનની આ પ્રથમ ફિલ્મ હતી.

“ડો. કોટનિસ કી અમર કહાની” કલાગુરુ વી. શાંતારામે બનાવેલી એક ફિલ્મ છે. આજે જેને “બાયો-પિક” (Boipic) કહે છે, એ કોઇ વ્યક્તિના જીવન પરથી ૧૯૫૦ના દાયકાના પ્રારંભે ફિલ્મ બનાવવાનો એક અતિ પ્રામાણિક પ્રયાસ હતો. શીર્ષક મુજબ જ ડો. કોટનિસની કહાણી ખરેખર અમર છે. એ જુદી વાત છે કે જો શાંતારામે આ ફિલ્મ ન બનાવી હોત તો ડો. દ્બારકાનાથ કોટનિસ ક્યાંય વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઇ ગયા હોત. જોકે આજે ભારતમાં તેમને જાણનારાઓની જે સંખ્યા છે તેના કરતાં ચીનમાં આ સંખ્યા અનેકગણી મોટી છે, કારણ કે આટલાં વર્ષો પછી આજે પણ ચીનમાં તેમનાં સેવા કાર્યોની સુવાસ જળવાઇ રહી છે. માનવતા માટે શહાદત વહોરનાર ડો. કોટનિસનું નિધન થયાંનાં ચાર જ વર્ષ બાદ ૧૯૪૬માં શાંતારામે તેમને રૂપેરી પડદે અમર બનાવી દીધા હતા.

મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૯૧૦માં દ્વારકાનાથ કોટનિસનો જન્મ થયો હતો. ૧૯૩૮ના અરસામાં જાપાન અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં ઘાયલ થવા ઉપરાંત પ્લેગનો ભોગ બનેલા ચીની સૈનિકોની સેવા-શુશ્રુષા માટે ભારતીય તબીબોની એક ટુકડી ચીન ગઈ હતી, તેમાં ડો. કોટનિસ પણ એક હતા. યુદ્ધ દરમ્યાન જાપાનીઓએ તેમને કેદ કરી લીધા હતા, અને કેદમાંથી મુક્ત થયા પછી ૧૯૪૨માં ત્યાં જ પ્લેગને કારણે તેમનું મોત થયું હતું, પણ એ પહેલાં તેઓ ચીનમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા હતા. માઓ-ત્સે-તુંગનું પણ તેમણે દિલ જીતી લીધું હતું. ચીની સૈનિકોની તેઓ ચાકરી કરતા હતા એ દરમ્યાન જ તેમનાં એક મદદનીસ ગુઓ કિંગલાન સાથે તેમણે ૧૯૪૧માં લગ્ન કર્યાં હતાં. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે તેમને ત્રણ માસનો એક પુત્ર હતો. જોકે તે પણ માંડ ૨૫ વસંત જોઇ શક્યો હતો.

“ડો. કોટનિસ કી અમર કહાની” આમ યાદ આવવાનું કારણ છે ૧લી જુલાઇના “ફૂલછાબ”માં પ્રગટ થયેલા ગુઓ કિંગલાનના નિધનના સમાચાર. ૯૬ વર્ષની વયે ચીનના ડાલીઆનમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. ગુઓ કિંગલાન જીવ્યાં ત્યાં સુધી ભારતમાં ડો. કોટનિસના પરિવાર સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. તેઓ લગભગ છએક વાર ભારત આવ્યાં હતાં. કોટનિસના નિધન બાદ સમય જતાં તેમણે બીજાં લગ્ન કરી લીધાં હતાં, પણ પોતાના નામ સાથે ડો. કોટનિસનું હંમેશ જોડી રાખ્યું હતું.

ચીનમાં આજે પણ એટલા લોકપ્રિય છે કે જ્યારે પણ કોઇ ચીની નેતા ભારત આવે છે ત્યારે ડો. કોટનિસના પરિવારની તેઓ અચૂક મુલાકાત લે છે. થોડાં વર્ષો પહેલાં ચીનના પ્રેસિડેન્ટ હૂ જિન્તાઓ ભારત આવ્યા હતા ત્યારે ડો. કોટનિસના પરિવારને મળ્યા જ હતા. ડો. કોટનિસની સ્મૃતિમાં ચીનમાં એક સાર્વજનિક હોસ્પિટલને તેમનું નામ આપવામાં આવ્યું છે એટલું જ નહિ, તેમના માનમાં ચીનમાં ટપાલટિકિટ પણ બહાર પાડવાંમાં આવી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં ચીનના સમાજજીવનમાં અમુલ્ય યોગદાન આપનારા ૧૦ વિદેશીઓ પસંદ કરવા માટે લોકો પાસેથી મત મગાવાયા હતા તેમાં ડો. કોટનિસને પણ સ્થાન મળ્યું હતું. નવાઇની વાત એ છે કે ચીનની નવી પેઢી પણ તેમનાં સેવાકાર્યોથી એટલી જ પ્રભાવિત છે.

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને  લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ એક રીતે જોઇએ તો બંનેના છેડા ચોક્કસપણે અડે છે.

આપણે ત્યાં પોલિટિકલ થ્રિલર ઓછી જ બને છે, અને “શાંઘાઇ” પોલિટિકલ થ્રિલર છે. દિગ્દર્શક દિબાકર બેનરજીની આ ફિલ્મમાં અભય દેઓલ, ઇમરાન હાશમી, કલ્કી કોચલીન અને એક ખાસ ભૂમિકામાં બંગાળી સુપરસ્ટાર પ્રસન્નજિત છે. ફિલ્મનું નામ “શાંઘાઇ” હોય એવું કાને પડે એટલે પહેલાં તો એવું જ લાગે કે જેટ લી કે જેકી ચાનની કોઇ માર્શલ આર્ટ ફિલ્મ હશે, પણ આ તો હિંદી ફિલ્મ છે.  પણ મહત્ત્વની વાત એ છે કે આ પોલિટિકલ થ્રિલર એક ગ્રીક નવલકથા પર આધારિત છે અને ત્યાં તેના તાર સ્પોર્ટ્સ સાથે જોડાય છે.

આધુનિક ગ્રીક ઇતિહાસમાં જે કેટલાક કર્મશીલોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે તેમાં એક છે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ (Grigoris Lambrakis). ગ્રિગોરિસ એથ્લેટિક હતો અને લોન્ગ જંપનો ખેલાડી હતો. ઘણાં વર્ષો સુધી અને ચોક્કસપણે કહીએ તો ૧૯૩૬થી ૧૯૫૯ સુધી ગ્રીક લોન્ગ જંપ રેકોર્ડ તેના નામે જ રહ્યો હતો. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં તેણે ઘણા ચંદ્રકો મેળવ્યા હતા, પણ સાથોસાથ તે સામાજિક નિસબત ધરાવતાં કાર્યો સાથે સંકળાયો હતો અને ધીમે ધીમે સક્રિય રાજકારણમાં આવી ગયો હતો. તે સામ્યવાદી નહોતો, પણ ડાબેરી વિચારસરણી તરફ તેનો ઝોક હતો. યુદ્ધવિરોધી ચળવળમાં તે અગ્રેસર હતો. જીવના જોખમની ધમકીઓની પરવા કર્યા વિના તે રેલીઓની આગેવાની લેતો. અંતે ૧૯૬૩ની ૨૨ મે એ આવી જ એક રેલીમાં પ્રવચન કરીને તે પરત ફરી રહ્યો હતો ત્યારે અનેક લોકોની હાજરીમાં તેના માથા પર ફટકો મારીને તેની હત્યા કરાઇ હતી.

આ હત્યા કેસની જે તપાસ થઈ અને જે કેસ ચાલ્યો તે વિગતોને આધારે હાલ ફ્રાન્સમાં રહેતા ગ્રીક લેખક વાસિલિસ વાસિલિકોસ (Vassilis Vassilikos)એ ૧૯૬૭માં એક નવલકથા “Z” લખી હતી. Z એ ગ્રીક શબ્દ Zei નો પ્રથમ અક્ષર છે, તેનો અર્થ થાય “જીવે છે”. આ નવલકથા પરથી ગ્રીક-ફ્રેન્ચ ફિલ્મકાર કોસ્ટા-ગાવ્રસ (Costa-Gavras)એ ૧૯૬૯માં આ જ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ખૂબ વખણાઇ હતી. ૧૯૭૦માં તેને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો તથા શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો ઓસ્કર મળ્યો હતો, અને શ્રેષ્ઠ ફિલ્મ,  શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા માટે નોમિનેશન મળ્યાં હતાં.

આ નવલકથા અને આ ફિલ્મ “Z” નો આધાર લઈને દિબાકર બેનરજીએ “શાંઘાઇ” બનાવી છે. તેમાંગ્રિગોરિસ લેમ્બ્રાકિસના આધારે ઘડાયેલું તેજતર્રાર કર્મશીલ ડો. અહમદીનું પાત્ર પ્રસન્નજિતે ભજવ્યું છે. દેખીતું જ છે કે કથાનક સંપૂર્ણ ભારતીય પરિવેશમાં જોવા મળશે અને ૧૯૬૦ના ગાળામાં ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ ગ્રીસમાં જે મુદ્દાઓ માટે લડ્યો હતો તે કરતાં ૨૧મી સદીના ભારતમાં ડો. અહમદી સામેના મુદ્દા જુદા જ હોવાના, પણ પીડિતો અને દમિતો માટે લડાઇ ત્યારે પણ લડવી પડતી હતી, આજે પણ લડવી પડે છે અને આગળ પણ લડવી પડવાની છે, પછી દેશ ચાહે ગ્રીસ હોય કે ભારત.

આવા કથાનક પરથી પ્રેરણા લઈને કોઇ ફિલ્મ બનાવી રહ્યું છે એ જ રાજી થવા જેવી વાત છે.

BTW, બે દિવસ પહેલાં દિબાકરને અખબારોમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને ૧૯૪૮માં યોજાયેલી ઓલિમ્પિકમાં લોન્ગ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો, પણ થોડાં ખાંખાંખોળાં કર્યા પછી એવું લાગ્યું કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને નામે કોઇ ઓલિમ્પિક મેડલ નથી. જોકે તેનાથી એક રમતવીર તરીકે પણ તેની મહાનતામાં કોઇ ફરક પડતો નથી.

 

આજ સુધી બાને કદી “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. આજે પણ એ પરંપરા તૂટે એવી સંભાવના નથી. આજે “મધર્સ ડે” છે એવી ખબર બાને હોવાની શક્યતા પણ ઓછી છે. આજે “મધર્સ ડે” ઊજવાઇ રહ્યો છે ત્યારે હિંદીના ખ્યાતનામ કવિ ડો. કુંઅર બેચૈનની મને ગમેલી કવિતા…

માં

કભી ઉફનતી હુઇ નદી હો, કભી નદી કા ઉતાર હો માં,

રહો કિસી ભી દિશા-દિશા મેં, તુમ અપને બચ્ચોં કા પ્યાર હો માં

નરમ-સી બાહોં મેં ખુદ ઝુલાયા, સુના કે લોરી હમેં સુલાયા

જો નીંદ ભર કર કભી ન સોઇ, જનમ-જનમ કી જગાર હો માં

ભલે હી દુખ કો છુપાઓ હમસે, મગર હમેં તો પતા હૈ સબ કુછ

કભી થકન હો, કભી દુખન હો, કભી બદન મેં બુખાર હો માં

જો તુમ સે બિછુડે, મિલે હૈં કાંટે, જો તુમ મિલી તો મિલી હૈં કલિયાં

તુમ્હારે બિન હમ સભી હૈં પતઝર, તુમ્હીં હમારી બહાર હો માં

હરેક મૌસમ કી આફતોં સે, બચા લિયા હૈ ઉઢા કે આંચલ

હો સખ્ત જાડે મેં ધૂપ તુમ હી, તપન મેં ઠંડી ફુહાર હો માં

યે સારી દુનિયા હૈ એક મંદિર, ઇસી હી મંદિર કી આરતી મેં

હો ધર્મ-ગ્રંથોં કે શ્લોક-સી તુમ, હૃદય કા પાવન વિચાર હો માં

ન સિર્ફ મૈં હી વરન તુમ્હારે, યે પ્યારે બેટે, યે બેટિયાં સબ,

સદા-સદા હી રુણી રહેંગે, જનમ-જનમ કા ઉધાર હો માં

કિ જબ સે હમને જનમ લિયા હૈ, તભી સે હમ કો લગા હૈ ઐસા

તુમ્હીં હમારે દિલોં કી ધડકન, તુમ્હીં હૃદય કી પુકાર હો માં

તુમ્હારે દિલ કો બહુત દુખાયા, ખુશી જરાદી, બહુત રુલાયા

મગર હમેશા હમેં ક્ષમા દી, કઠોર કો ભી ઉદાર હો માં

કહા હૈ જો કુછ યહાં બડોં ને, “કુંઅર” ઉસે કુછ યૂં કહ રહા હૈ

યે સારી દુનિયા હૈ ઇક કહાની, તુમ ઇસ કહાની કા સાર હો માં

*

Image

માધુરી દીક્ષિત “ગુલાબ ગેંગ” નામની એક ફિલ્મમાં કામ કરવાની છે અને આ ફિલ્મ “ગુલાબી ગેંગ” પરથી પ્રભાવિત છે એવા સમાચાર આજકાલ ક્યાંક ને ક્યાંક છપાતા રહે છે. તેનું દિગ્દર્શન અનુભવ સિંહા કરવાના છે. એક અખબારમાં તો એક “જાણકાર”નો હવાલો આપીને એવું છપાયું છે કે “ઉત્તર પ્રદેશમાં ગુલાબી ગેંગ નામની મહિલાઓની એક ગેંગસ્ટર ગેંગ સક્રિય છે. આ ગેંગ માધુરીને મળવા માગે છે અને ગેંગની સૂત્રધાર મહિલા એવું ઇચ્છે છે કે શૂટિંગ શરૂ થતા પહેલાં માધુરી ઉત્તર પ્રદેશ જઈને તેમની જીવનશૈલી અને કામ કરવાની રીત જુએ, તેમના જીવનમાં ડોકિયું કરે, અને પછી તેને પડદા પર જીવંત કરે. આમ ન કરવાની સ્થિતિમાં તેમણે શૂટિંગમાં વિઘ્ન નાખવાની ચેતવણી કે બીજી ભાષામાં ધમકી પણ આપી દીધી છે.”

આ અખબારી અહેવાલના ધમકીવાળા ભાગમાં કેટલી સચ્ચાઇ છે એ ખબર નથી, પણ ગુલાબી ગેંગ ગેંગસ્ટર ગેંગ હોવાની વાત તો ખોટી જ છે. “ગુલાબી ગેંગ” એ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હવે તો વ્યાપકપણે વિસ્તરેલું મહિલાઓનું એક સંગઠન છે. આ મહિલાઓ સ્ત્રીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવે છે, અને આ બધી મહિલાઓ પોતાની એક ખાસ ઓળખ માટે ગુલાબી રંગની સાડી પહેરતી હોવાથી તે “ગુલાબી ગેંગ” તરીકે ઓળખાય છે. સંપત પાલ નામનાં એક મહિલા આ “ગુલાબી ગેંગ”નાં નેતા છે. આ મહિલા સંગઠન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં મહિલાઓનો અવાજ બની ચૂક્યું છે. આ ગેંગ પોતાનો એવો રુઆબ ઊભો કરી ચૂકી છે કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ આ ગેંગથી ખાસ્સાં પ્રભાવિત થયાં છે. ગેંગની કમાન્ડર સંપત પાલને તેઓ છેલ્લાં ચાર વર્ષમાં ત્રણ વાર પોતાના ઘેર બોલાવી ચૂક્યાં છે. એટલું જ નહિ, દેશ-વિદેશની અનેક સંસ્થાઓ તેમને નિમંત્રિત કરતી રહે છે. દુનિયાની અનેક ચેનલો સંપત પાલ અને તેમની “ગુલાબી ગેંગ” વિષેની ડોક્યુમેન્ટરી દેખાડી ચૂકી છે.

૧૯૮૦ના દાયકામાં “ગુલાબી ગેંગ” પહેલી વાર ચર્ચામાં આવી હતી. એક મહિલાને તેના પતિનો ત્રાસ હતો. તેની ફરિયાદ લખવામાં પોલીસે આનાકાની કરી ત્યારે સંપત પાલ અને તેમની ગેંગે એ પોલીસ જમાદારને એક ઝાડ સાથે બાંધીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો એ પછીથી ગેંગ પ્રકાશમાં આવી હતી. ૧૯૮૦માં માત્ર પાંચ મહિલાઓ સાથે મળીને ગેંગ બનાવી હતી. આજે આ ગેંગ સાથે દસ હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. સરકારી તંત્ર પાસે કામ લેવું હોય તો ભાઇસાબ બાપા કરવાથી મેળ ન પડે એ બહુ વહેલાં સમજી ગયેલી આ બહેનો જબરી ધાક ધરાવતી થઈ ગઈ છે. સંપત પાલ તો કહે છે પણ ખરી કે “આ પછાત વિસ્તારમાં મહિલાઓના અધિકારો માટે દાદાગીરીથી જ લડવું પડે.”

આ “ગુલાબી ગેંગ” એક ડોક્યુમેન્ટરી ફિલ્મનો વિષય પણ બની ચૂકી છે. આજ સુધીમાં ઘણા એવોર્ડ મેળવનાર ૫૯ વર્ષીય બ્રિટિશ ફિલ્મકાર કિમ લોન્ગિનોટ્ટો (Kim Longinotto)એ “ગુલાબી ગેંગ”ની પ્રવૃત્તિઓ પર “પિન્ક સારીઝ” (Pink Saris) નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. એક નારી ધારે તો પોતાની સાથે અનેક નારીઓને રાખીને મહિલાઓને કનડતા સામાજિક પ્રશ્નો પરત્વે જે લડાઇ લડી શકે તેને “ગુલાબી ગેંગ” કઈ રીતે સાર્થક કરી શકી છે તેનું ચિત્રણ આ ડોક્યુમેન્ટરીમાં કરાયું છે.

….અને પ્રારંભે જેનો ઉલ્લેખ કર્યો છે તે અખબારી અહેવાલની એક રસપ્રદ વાત એ છે કે તેમાં દિગ્દર્શક અનુભવ સિંહાને “ગેંગસ્ટર ગેંગ દ્વારા અપાયેલી ધમકી” સંદર્ભે એમ કહેતો ટાંકવામાં આવ્યો છે કે “આવી સ્થિતિ પેદા થશે એ મેં વિચાર્યું પણ ન હતું. હું આ મહિલા ગેંગસ્ટર ગેંગ અંગે વધુ કંઈ જાણતો નથી, પણ હવે મારી ઇચ્છા પ્રબળ બની છે.”

શું કહીશું આને?

માર્ટિન સ્કોર્સિસની “હ્યુગો”એ જલસા કરાવી દીધા. 3-Dને મામલે “અવતાર”થી પણ ચઢિયાતી પુરવાર થાય એવી આ ફિલ્મ હ્યુગો નામના એક કિશોર અને પછી તેની સાથે જોડાતી ઇસાબેલ નામની એક કિશોરીની મારફતે ફિલ્મોની શોધનાં પ્રારંભિક વર્ષો સુધી લઈ જાય છે, એટલું જ નહિ, “મૂવી”ની શોધનું જેમને શ્રેય મળેલું છે એ લુમિયર બંધુઓએ બનાવેલી પહેલી ફિલ્મ “અરાઇવલ ઓફ એ ટ્રેઇન” વિષે આજ સુધી માત્ર વાંચવા જ મળ્યું હતું કે માત્ર તેની તસવીરો જ જોવા મળી હતી, પણ “હ્યુગો”માં એ ફિલ્મ જોવા મળી ગઈ એટલું જ નહિ, એ જમાનામાં આ ફિલ્મ જોતી વખતે થિયેટરમાં પ્રેક્ષકો પર તેની કેવી અસર થતી એ પણ જોવા મળી ગયું.

વધુ રસ પડ્યો બેન કિંગ્સ્લેએ ભજવેલા જ્યોર્જિસ મેલિયેના પાત્રમાં. ફિલ્મોના વિકાસમાં મેલિયેએ જે યોગદાન આપ્યુ છે તેનો જોટો જડે તેમ નથી. “ભારતીય ફિલ્મોનો મૂક યુગ” નામનું એક પુસ્તક પાંચેક વર્ષથી લખાયેલું પડ્યું છે. હજી પ્રગટ નથી થયું. બે પ્રકાશકોએ છાપવા માટે હા પાડ્યા બાદ એક એક વર્ષ તેમની પાસે રાખ્યા પછી વિચાર માંડી વાળ્યો.. એક પ્રકાશકે એવું કારણ આપ્યું કે “ગુજરાતીમાં ફિલ્મો વિષેનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.”

ખેર, આ અપ્રગટ પુસ્તકમાં જ્યોર્જિસ મેલિયે વિષે કરેલી નોંધ અહીં પ્રસ્તુત છે :

ફિલ્મનિર્માણમાં લુમિયર બંધુઓની સાથોસાથ જ બીજું એક નામ લેવું પડે તેમ છે. એ છે જ્યોર્જિસ મેલિયે. મેલિયે લુમિયેનો સમકાલીન જ હતો અને ફિલ્મનિર્માણમાં તેઓ એક ડ્ગલું જ આગળ-પાછળ હતા, પણ જ્યાં લુમિયર માટે એક જીવંત દૃશ્યને કેમેરામાં ઝડપીને તેને પડદા પર પ્રદર્શિત કરવું એ જ કેમેરાનો ઉપયોગ હતો, ત્યાં મેલિયે કેમેરામાં અસીમ સંભાવનાઓ જોઇ શક્યો હતો, અને તેનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તેણે પ્રારંભે જ પોતાની ફિલ્મો દ્વારા એ દર્શાવી આપ્યું હતું કે મૂવી કેમેરા યથાર્થનો ભ્રમ પેદા કરવામાં પણ કેટલો સક્ષમ છે. તેની ફિલ્મોમાં કલ્પના અને ચમત્કારનો સમન્વય રહેતો. તેની એક ફિલ્મમાં તેણે કેમેરાનો ઉપયોગ જાદુગરની જેમ કર્યો હતો. આમ પણ વ્યવસાયે તે જાદુગર હતો જ.

લુમિયર બંધુઓએ પેરિસમાં સિનેમાનો જે પહેલો શો યોજ્યો હતો તે જોનારાઓમાં મેલિયે પણ હતો. (“હ્યુગો”માં આ દૃશ્ય છે) શો પૂરો થયા બાદ તેણે લુમિયરનું સિનેમેટોગ્રાફ દસ હજાર ફ્રાન્કમાં ખરીદી લેવાની તૈયારી બતાવી હતી, પણ લુમિયર તે વેચવા તૈયાર થાય તે માટે તેણે એક આખું વર્ષ રાહ જોવી પડી હતી. એ પછી તેણે જે ફિલ્મો બનાવી તેમાં પોતાની કલ્પનાશક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાની એક ફિલ્મમાં એક જાદુગરને દસ સેકન્ડમાં એક હેટ બનાવતો દર્શાવ્યો હતો. બીજી એક ફિલ્મમાં એક સ્ત્રીને ગાયબ થતી અને પછી તેને એક પુરુષમાં પરિવર્તિત થતી દર્શાવી હતી.

મેલિયેએ કેમેરામાં ફિલ્મને ખૂબ ઝડપથી ચલાવીને તથા ખૂબ ધીમી ચલાવીને દૃશ્યોમાં વિવિધ અસરો પેદા કરવાના અવનવા પ્રયોગો કર્યા હતા. લુમિયર બંધુની જેમ તેને કોઇ દૃશ્યને યથાતથ કેમેરામાં ઝડપીને તેને માત્ર હાલતું ચાલતું પડદા પર જ બતાવીને સંતોષ નહોતો લેવો. પોતાની રીતે પોતે ઇચ્છે તે રીતે ફિલ્મો બનાવી શકે તે માટે તેણે ૧૮૯૭માં એક સ્ટુડિયો પણ ઊભો કર્યો હતો, અને માત્ર જીવંત દૃશ્યોને પડદા પર રજૂ કરવાને બદલે સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મ બનાવવાનો પ્રારંભ પણ તેણે કર્યો હતો. ૧૮૯૯માં જ તેણે એક લોકપ્રિય ફ્રેન્ચ નવલકથા “ડ્રેફ્યુસ અફેર” પરથી ફિલ્મ બનાવી હતી. તેમાં બાર દૃશ્યો હતાં અને તે માટે સાઇઠ ફૂટ લાંબી તેર પટ્ટીઓનો ઉપયોગ કર્યો હતો. પડદા પર આ ફિલ્મ પંદર મિનિટ ચાલતી હતી અને એ જમાનામાં આટલી લંબાઇ ઓછી નહોતી ગણાતી.

મેલિયેએ ૧૯૦૨માં જુલે વર્નની વિગ્નાનકથા પર આધારિત “એ ટ્રિપ ટુ મૂન” બનાવી હતી. આ તેની શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. તેમાં ત્રીસ દૃશ્યો હતાં અને લોકોને હસાવીને મજા કરાવે એવી કેમેરાની ઘણી તરકીબો તેણે કરી હતી. એ ઉપરાંત “ગુલિવર્સ ટ્રાવેલ્સ”, “રોબિન્સન ક્રૂઝો” જેવી એ સમયની લોકપ્રિય વાર્તાઓ પરથી તેણે ફિલ્મો બનાવી હતી. પોતાની લાંબી કારકિર્દીમાં તેણે અસંખ્ય ફિલ્મો બનાવી હતી. ૧૮૬૧ની ૮મી ડિસેમ્બરે પેરિસમાં જન્મેલા મેલિયેનું નિધન ૧૯૩૮માં થયું હતું.

ગુજરાતીઓની નાણાં-પ્રીતિને લઈને પ્રચલિત કેટલીક રમૂજી વાતોમાં એક એ પણ છે કે દેશમાં બીજે ક્યાંય જો કોઇને અમુક  સ્થળ કેટલું દૂર છે એ પૂછવામાં આવે તો તે બે-ત્રણ કિલોમિટર કે પંદર-વીસ મિનિટ દૂર છે એવો જવાબ મળે, પણ જો અમદાવાદમાં આ પ્રશ્નનો જવાબ એવો મળે કે “રિક્ષામાં ૨૫ રૂપિયા થશે.”

આ તો ગમ્મતની વાત થઈ, પણ રાત્રે ઓશોની “અષ્ટાવક્ર ગીતા”નો ચોથો ભાગ સાંભળતાં તેમના પ્રવચનમાંથી એ જાણવા મળ્યું કે આપણે ત્યાં હાઇવે પર આવનારું સ્થળ કેટલા કિલોમિટર દૂર છે તે આંકડા માઇલસ્ટોન પર દર્શાવાતા હોય છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં માઇલસ્ટોન પર આવનારું સ્થળ કેટલી મિનિટ દૂર છે તે દર્શાવાયું હોય છે. ૨૦૦૯ના મેમાં સ્વિસ શહેર શોફહોસેન (Schaffhausen) જવાનું થયું હતું ત્યારે આ બાબત ધ્યાનમાં નહોતી આવી, પણ તેનું કારણ એ હતું કે અમે જર્મનીના સ્ટુટગાર્ટથી શોફહોસેન કારમાં નહિ, પણ ટ્રેનમાં ગયાં હતાં.

રાત્રે સાંભળેલું ઓશોનું પ્રવચન હજી મનમાં જ હતું ત્યાં સવારે આર્થિક દૈનિક Mint માં શેખર ભાટિયાનો એક સરસ લેખ “True-life ‘singles’ from the net” વાંચ્યો. દુનિયાનાં ખ્યાતનામ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો કઈ કઈ વેબસાઈટ પર વાંચે છે એની તેમણે વાત કરી છે. તેમણે ઉલ્લેખ કરેલી એક વેબસાઇટ www.longreads.com માં રસ પડ્યો. અહીં સંગ્રહ થયેલા લેખો ફ્રી વાંચી શકાય છે. વેબસાઇટ પર જઈને જોયું તો રાજકારણથી માંડીને મનોરંજન સહિતની જુદી જુદી કેટેગરીમાં ઘણા લેખો વાંચવા મળે તેમ છે, પણ એક નવી વાત એ જોવા મળી કે દરેક લેખ કેટલી લંબાઈ ધરાવે છે એ દર્શાવતો શબ્દોનો આંકડો આપવા સાથે લેખ કેટલો લાંબો છે તે મિનિટોમાં પણ દર્શાવાયું છે. લેખની લંબાઇ મિનિટમાં દર્શાવાઇ હોય એ કમ સે કમ મેં તો પહેલી વાર જોયું.

“ધ ડર્ટી પિક્ચર” પછી એકદમ જ લાઈમ લાઇટમાં આવી ગયેલી વિદ્યા બાલન આજકાલ એવી ઇચ્છા વ્યક્ત કરી રહી છે કે તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા ઇચ્છે છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી કઈ અભિનેત્રીને ન ગમે, પણ લાગે છે કે વિદ્યાનું આ સપનું કદાચ ક્યારેય સાકાર નહિ થઈ શકે.

જીવંત કે દિવંગત વ્યક્તિઓના જીવન પરથી બનતી ફિલ્મ, જેને અંગ્રેજીમાં Biopic કહે છે, તેનું નિર્માણ હોલીવૂડમાં જેટલું સહજ અને સરળ છે એટલું બોલીવૂડમાં નથી. હોલીવૂડમાં હજી હાલમાં જ આવી ત્રણ ફિલ્મો બની ચૂકી છે, જેમાંની એક “ધ આયર્ન લેડી” બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરના જીવન પર આધારિત છે અને તેમાં થેચરની ભૂમિકા ભજવવા માટે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર મેરિલ સ્ટ્રીપને મળ્યો છે. બીજી ફિલ્મ “જે. એડગર” અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઇના ચીફના હોદ્દા પર લગભગ ૫૦ વર્ષ રહેલા એડગર હુવરના જીવન પરથી બનાવાઇ હતી અને ત્રીજી ફિલ્મ “ધ લેડી” મ્યાંમારમાં માનવ અધિકારો અને લોકશાહી શાસન માટે લડત ચલાવી રહેલાં સૂ કીના જીવન પરથી બનાવાઇ છે.

બોલીવૂડમાં આવી ફિલ્મો નથી બનતી એવું યે નથી. તા. ૨ માર્ચે રીલીઝ થનારી “પાનસિંઘ તોમર” આવી જ એક બાયોપિક છે, પણ બોલીવૂડમાં બોયોપિક બનવાનું પ્રમાણ ઘણું ઓછું છે. એમાંય જો કોઈ રાજકીય વ્યક્તિના જીવન પરથી બાયોપિક બનાવવી હોય તો તો નિર્માતા-દિગ્દર્શકને ભગવાન બચાવે એવી તેની હાલત થઈ જાય. તેને કારણે હોલીવૂડમાં અનેક મહાનુભાવોના જીવન પરથી અસંખ્ય ફિલ્મો બની ચૂકી છે, પણ બોલીવૂડમાં એ સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે.

અહીં મોટા ભાગે તો આવી ફિલ્મો બનાવવા ઇચ્છતા ફિલ્મકારો વચલો રસ્તો કાઢીને કોઈ વ્યક્તિના જીવન પરથી પ્રેરણા લઈને તેને કલ્પનાના વાઘા પહેરાવી ફિલ્મો બનાવે છે.  સિલ્ક સ્મિતાના જીવન પરથી પ્રેરિત ગણાતી  “ધ ડર્ટી પિકચર” પણ તેનું ઉદાહરણ છે, અને સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરિત ગણાતી “ગુરુ” પણ તેનું ઉદાહરણ છે.

આ કારણે જ વિદ્યા બાલન જ્યારે એવી ઇચ્છા વ્યક્ત કરતી હોય કે તેને ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી છે તો તે લગભગ તો અશક્ય બની રહે છે. એમાંય હવે જ્યારે તે “ધ ડર્ટી પિકચર”માં કામ કરી ચૂકી છે એ પછી તો એ ભાગ્યે જ શક્ય બની શકે તેમ છે. જો એવું ન હોત તો “ઇન્દિરા ગાંધી – ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની” ફિલ્મ પાંચ-સાત વર્ષ પહેલાં રીલીઝ પણ થઈ ગઈ હોત. એ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મનીષા કોઇરાલાની પસંદગી કરાઇ હતી. મહારાની પદ્મિનીદેવી પ્રતિષ્ઠાન વતી નીતિન કેની નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન એન. ચંદ્રા કરવાના હતા. પટકથા કમલેશ્વરે લખી હતી. ઇન્દિરા ગાંધીના ગેટ-અપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થઈ ચૂકી હતી અને  ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારી હતી ત્યાં એક ઇન્દિરાભક્ત કોંગ્રેસી કાર્યકરે ફિલ્મનું નિર્માણ અટકાવવા રીટ કરી દીધી. કારણ એ હતું કે મનીષાએ “માર્કેટ” નામની એક ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા ભજવી હતી. વેશ્યાની ભૂમિકા ભજવનાર ઇન્દિરા ગાંધીની ભૂમિકા કઈ રીતે ભજવી શકે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, પણ અંતે પ્રોજેક્ટનું પડીકું વાળી દેવાયું.

બાય ધ વે, સોનિયા ગાંધીના જીવન પરથી “સોનિયા સોનિયા” નામની એક ફિલ્મ પણ અટવાયેલી પડી છે. તેમાં સોનિયા જેવો લૂક ધરાવતી પૂર્વા પરાગ નામની અભિનેત્રીએ સોનિયાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માટે સોનિયા ગાંધીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. થોડા સમય પહેલાં અવસાન પામેલા ફિલ્મકાર જગમોહન મુંદ્રા પણ સોનિયાના જીવન પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, પણ તેમને મંજૂરી અપાઇ નહોતી.

હોલીવૂડમાં તો અસંખ્ય બાયોપિક બની ચૂકી છે, પણ વાતનું સમાપન “W.” સાથે કરીએ. આ ફિલ્મ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશના જીવન પરથી બનાવાઇ છે.તેમાં બુશના વિવાદાસ્પદ વ્યક્તિત્વનું નિરુપણ કરાયું છે. આ ફિલ્મમાં એવું ધણું છે, જે બુશને નહોતું ગમ્યું. ૨૦૦૮માં આ ફિલ્મનું નિર્માણ થયું ત્યારે બુશ સત્તા પર હતા, પણ તેને રીલીઝ થતી રોકાઇ નહોતી.

 

શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા (ઝ્યાં દુજાર્ડિન), શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (બેરેનિસ બેજો) સહિત દસ ઓસ્કર નોમિનેશન મેળવનાર ફિલ્મ “ધ આર્ટિસ્ટ ” જોઇ નહોતી ત્યાં સુધી એવો પ્રશ્ન થતો હતો કે એમાં એવું તે શું હશે, પણ ફિલ્મ જોયા પછી આફરીન થઈ જવાયું. ચાર્લી ચેપ્લિનની મોટા ભાગની મૂક ફિલ્મો ઉપરાંત થોડાં વર્ષો પહેલાં કમલહાસન અભિનિત “પુષ્પક” અને એનાં થોડાં વર્ષો પહેલાં મેલ બ્રુક્સની “સાયલન્ટ મુવી” સિવાય કોઇ મૂક ફિલ્મ જોયાનું ખાસ યાદ નથી. “પુષ્પક” એક મનોરંજનીય પ્રયોગ હતો અને “ધ સાયલન્ટ મુવી” મેલ બ્રુક્સ સ્ટાઈલની કોમેડી હતી, એટલે “ધ આર્ટિસ્ટ”એ એક સંઘેડાઉતાર મૂક ફિલ્મ તરીકે જલસો કરાવી દીધો.

“ધ આર્ટિસ્ટ”ની વાર્તા સાવ સરળ છે. ૧૯૩૦ના દાયકાના અંત ભાગે જે હોલીવૂડમાં બન્યું હતું તે ભારત સહિત ફિલ્મ બનાવનારા દરેક દેશમાં બન્યું હતું. સવાક ફિલ્મોના પ્રારંભ સાથે મૂક ફિલ્મોના અનેક કલાકારોને ઘેર બેસવાનો વારો આવ્યો હતો. શરીરસૌષ્ઠવ અને શારીરિક સૌંદર્ય મૂક ફિલ્મોનાં કલાકારો માટે મુખ્ય માપદંડ હતો, પણ જેમની પાસે સંવાદ અદાયગીની તાકાત નહોતી એવા ભલભલા કલાકારોની કારકિર્દીનો અંત આવી ગયો હતો.

“ધ આર્ટિસ્ટ”માં પણ મૂક ફિલ્મોના સુપરસ્ટાર જ્યોર્જ વેલેન્ટિનની વાત છે. ૧૯૨૭નો સમયગાળો છે. તે સ્ટારડમની ચરમસીમાએ હતો અને પેપી મિલર નામની એક નવોદિત અભિનેત્રીની કારકિર્દી શરૂ  થઈ રહી છે. એક દિવસ નિર્માતા જ્યોર્જને ફિલ્મને અવાજ આપવા માટે થઈ રહેલા ટેસ્ટ જોવા બોલાવે છે. જ્યોર્જ તે જોવા જાય છે ખરો, પણ આવા પ્રયોગને હસી કાઢે છે. ત્યારે નિર્માતા કહે છે, “હસી કાઢવા જેવી વાત નથી. આ જ ભવિષ્ય છે.” ત્યારે પણ જ્યોર્જ હસીને જ જવાબ આપે છે કે “જો આ જ ભવિષ્ય હોય તો એ રાખો તમારી પાસે.”

એ જમાનામાં જ્યોર્જ જેવા અનેક કલાકારો અને કસબીઓ ખરેખર આવનારા સમયને ઓળખી શક્યા નહોતા અને પોતાના ગુમાન પર મુસ્તાક રહ્યા હતા. ભારતમાં પણ જ્યારે સવાક ફિલ્મોના પ્રયોગો શરૂ થયા હ્તા ત્યારે તેનો વિરોધ કરનારા ઘણા હતા. મૂક ફિલ્મોના સમયમાં કારકિર્દી શરૂ કરનારા અને સવાક યુગમાં પણ છવાઇ જનારા ખુદ વી. શાંતારામે ૧૯૩૦માં એવું કહ્યું હતું કે “એકદમ નવી ચીજ હોવાને કારણે જ પ્રેક્ષકો બોલતી ફિલ્મ જોવા ઉત્સુક છે. નવીનતા ખતમ થતાં જ લોકોનું બોલતી ફિલ્મ તરફનું આકર્ષણ ઓછું થતું જશે. મૂક ફિલ્મોએ પોતાની કલાત્મકતા દ્વારા સિનેમાની દુનિયામાં એક નિશ્ચિત સ્થાન બનાવી લીધું છે અને તે એવું જ જળવાઇ રહેશે એમાં મને મુદ્દલ શંકા નથી. ”

“ધ આર્ટિસ્ટ”નો જ્યોર્જ વેલેન્ટિન પણ કંઈક આવું જ માનતો હોય છે. તે નિર્માતાને કહી દે છે કે “લોકો મારો અવાજ સાંભળવા નહિ, મને જોવા આવે છે.”

તેની માન્યતા કેટલી ખોટી હોય છે એ થોડા જ સમયમાં તેને સમજાય જાય છે. તે પોતે લખલૂટ ખર્ચ કરીને એક મૂક ફિલ્મ બનાવે છે, પણ એ ફ્લોપ જાય છે અને બીજી બાજુ શેરબજારમાં મોટો કડાકો બોલી જાય છે એટલે તે રસ્તા પર આવી જાય છે.

મૂક ફિલ્મોના સમયની જ ટેકનિક અને એ જ સમયના કેમેરા એન્ગલનો ઉપયોગ “ધ આર્ટિસ્ટ”માં ખૂબ સુંદર રીતે થયો છે. નવોદિત અભિનેત્રી પેપી મિલરને જ્યોર્જ તરફ આકર્ષણ અનુભવતી દર્શાવાય છે ત્યારે દીવાલ પર જ્યોર્જની એક ફિલ્મ “થીફ ઓફ હર હાર્ટ”નું પોસ્ટર લાગેલું હોય છે. પોતાની પાસેની તમામ ચીજોની હરાજી કરાવીને હતાશ અને નિરાશ જ્યોર્જને રસ્તા પર જતો દર્શાવાય છે ત્યારે એક ફિલ્મ લાગી હોય છે “લોન્લી સ્ટાર”. ફિલ્મમાંનાં બે દૃશ્યો તો ખાસ યાદ રહી ગયાં. જ્યોર્જની સ્થિતિ બધી રીતે એટલી ખરાબ થઈ જાય છે કે એક દૃશ્યમાં તો રીતસર પડછાયો પણ તેનો સાથ છોડી જતો બતાવાયો છે. બીજું દૃશ્ય છે જ્યોર્જ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો વફાદાર કૂતરો તેને આપઘાત કરતો રોકવા જે મથામણ કરે છે તે અદભુત છે.

અમદાવાદના સિનેમેક્સ મલ્ટીપ્લેક્સમાં અમારા બે ઉપરાંત બીજા ચારપાંચ જણા જ હતા, પણ તેમણે આ સાયલન્ટ ફિલ્મમાં સતત સાઉન્ડ ઇફેક્ટ આપવાનું કામ કર્યે રાખ્યું હતું.