Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન 2nd, 2011

“અતિથિ” ટાગોરની જાણીતી ટૂંકી વાર્તા છે, જોકે તેના પરથી ફિલ્મ બનાવવાનું સાહસ તપન સિંહા જેવો ફિલ્મકાર જ કરી શકે. ૧૯૬૫માં નિર્માણ પામેલી “અતિથિ”ના કેન્દ્રમાં એક રખડુ બ્રાહ્મણ કિશોર તારાપદા છે. ઘણી વાર તે ઘેરથી ભાગીને કોઇ સંગીતમંડળી કે ખેલાડીઓની ટોળી સાથે ભળી જતો. ઘેરથી તેનું ભાગવું એ કોઇ ખરાબ સંગતની અસર નહોતી, પણ ઘરમાં પણ અનુભવાતી બંધનાવસ્થામાંથી છૂટવાની એ છટપટાહટ હતી.

એક વાર એવું બને છે કે તે હંમેશને માટે ઘર છોડીને નીકળી પડે છે. નાવમાં નદી પાર કરતી વખતે તેની મુલાકાત એક જમીનદાર મોતી સાથી થાય છે. તે પોતાના પરિવાર સાથે જાત્રા કરીને પરત ફરી રહ્યો હતો. જમીનદારને અ કિશોરમાં રસ પડે છે. તે તારાપદાને પોતાને ઘેર લઈ આવે છે અને પોતાની સાથે રાખે છે.  પોતાની વાતોથી અને વ્યવહારથી તારાપદા માત્ર જમીનદારનું જ નહિ, પણ તેની પત્નીનું પણ દિલ જીતી લે છે. એટલું જ નહિ, તેમની દીકરીનો પ્રેમ પણ પામે છે.

તારાપદા તરફ દીકરીનું આકર્ષણ જમીનદાર પામી જાય છે. બંનેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવાય છે, ત્યાં તારાપદા ફરી એક વાર ગાયબ થઈ જાય છે. આમ થવાનું કારણ જમીનદાર સમજી શકતો નથી, પણ તારાપદા માટે તે સહજ હતું. ઘર-પરિવારની ઝંઝાળમાં બંધાઇ રહેવું તેને મંજૂર નહોતું. માણસ સતત મુક્તિ અને આઝાદીની ઝંખના કરતો  હોય છે એ આ વાર્તામાં ટાગોરે બહુ ખૂબીપૂર્વક નિરૂપ્યું હતું.

તપન સિંહાએ આ ફિલ્મ ન્યુ થિયેટર્સના નેજા હેઠળ બનાવી હતી. સંગીત પણ તેમણે જ આપ્યું હતું. સાસ્વતિ મુખરજી, પાર્થો મુખરજી, ક્રિષ્ના બાસુ  અને અજિતેશ બેનરજી ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ તથા વેનિસ ફિલ્મોત્સવમાં એવોર્ડ મળ્યો  હતો.

Read Full Post »